ગુજરાત વિધાનસભાનું ચોમાસુ સત્ર આગામી 8, 9 અને 10 સપ્ટેમ્બર દરમિયાન યોજાશે. રાજ્યપાલે 15મી ગુજરાત વિધાનસભાના આઠમા સત્રનું આહ્વાન કરતાં સત્ર સંબંધિત જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.
વિધાનસભા અધ્યક્ષ શંકર ચોધરીએ કહ્યું કે સત્રને ધ્યાનમાં રાખીને ધારાસભ્યો 20 ઓગસ્ટ સુધી પોતાના પ્રશ્નો ઓનલાઈન તેમજ પ્રત્યક્ષ રીતે રજૂ કરી શકશે. જ્યારે 6 સપ્ટેમ્બરે કામકાજ સલાહકાર સમિતિની બેઠક યોજાશે, જેમાં સત્રના એજન્ડા અને ગૃહની કામગીરી અંગે ચર્ચા કરવામાં આવશે.
ત્રણ દિવસીય આ ચોમાસુ સત્ર દરમિયાન સરકાર વિવિધ વિધેયકો અને અન્ય સરકારી કામકાજ ગૃહમાં રજૂ કરે તેવી શક્યતા છે. વિપક્ષ પણ રાજ્યના વિવિધ મુદ્દાઓને લઈને સરકારને ઘેરવાનો પ્રયાસ કરશે તેવી રાજકીય વર્તુળોમાં ચર્ચા છે.




