મહારાષ્ટ્રમાં પરીક્ષા ગેરરીતીના કેસો ચલાવવા માટે વધુ ૨૩ ફાસ્ટ ટ્રેક કોર્ટની રચના કરવામાં આવી છે. આથી હવે કુલ 25 થઇ છે. કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ રવિન્દ્ર ઘુગેએ ગત પહેલી ઓગસ્ટે જાહેર પરીક્ષા અધિનિયમ, ૨૦૨૪, ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત જોગવાઈઓ અને મહારાષ્ટ્ર યુનિવસટી, બોર્ડ અને અન્ય ચોક્કસ પરીક્ષા અધિનિયમ, ૧૯૮૨ માં ગેરરીતિઓ નિવારણ હેઠળ ટ્રાયલ ચલાવવા માટે ઘણા જિલ્લાઓમાં ન્યાયિક અધિકારીઓની નિમણૂક કરી હતી.
નવી નિયુક્ત અદાલતો બીડ, ચંદ્રપુર, ધુળે, ગઢચિરોલી, ગોંદિયા, જલગાંવ, જાલના, કોલ્હાપુર, નાસિક, ઉસ્માનાબાદ, પરભણી, પુણે અને સાંગલીમાં રચાઈ છે. સતારા, સોલાપુર, થાણે, વર્ધા, યવતમાળ, વાશિમ અને નંદુરબારમાં પણ આવી જ અદાલતો સ્થાપિત કરવામાં આવી છે. મુંબઈમાં, સિટી સિવિલ અને સેશન્સ કોર્ટ અને ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાંથી એક-એક ન્યાયાધીશને આવા કેસોની વિશેષ સુનાવણી માટે નિયુક્ત કરવામાં આવ્યા છે.
ઔરંગાબાદ અને નાગપુરમાં બે ખાસ ફાસ્ટ-ટ્રેક કોર્ટ સ્થાપવાના હાઇકોર્ટના ૨૪ જુલાઈના આદેશ બાદ આ કાર્વાહી કરવામાં આવી છે. ઔરંગાબાદ ખાતે એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એસ.વી. પવાર અને નાગપુર ખાતે એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ગુલશન આર. કોલ્ટેને ૨૦૨૪ એક્ટ, ભારતીય ન્યાય સંહિતા અને મહારાષ્ટ્ર પ્રિવેન્શન ઓફ મેપ્રેક્ટિસ એક્ટ હેઠળ ગુનાઓની સુનાવણી માટે નિયુક્ત કરવામાં આવ્યા હતા.
પેપર લીક અને સંગઠિત પરીક્ષા છેતરપિંડીને રોકવા માટે ઘડવામાં આવેલા કાયદામાં આવા કેસોમાં ટ્રાયલ ત્રણ મહિનાની અંદર પૂર્ણ કરવાની જરૃર છે. નીટ પરીક્ષામાં કથિત અનિયમિતતાઓને લઈને મુંબઈ અને નાગપુર સહિત દેશના અનેક ભાગોમાં વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવેલા વિરોધ પ્રદર્શનોને પગલે આ નિર્ણય લેવામાં આવ્યો હતો. મહારાષ્ટ્રમાં હવે પેપર લીક અને પરીક્ષામાં ગેરરીતિના કેસોનો નિકાલ કરવા માટે પચ્ચીસ નિયુક્ત ફાસ્ટ-ટ્રેક કોર્ટ રચાઈ છે, જેનો ઉદ્દેશ્ય આવા ગુનાઓનો ઝડપી નિકાલ સુનિશ્ચિત કરવાનો અને જાહેર પરીક્ષા પ્રણાલીની અખંડિતતાને મજબૂત બનાવવાનો છે.




