અફઘાનિસ્તાનનાં તાલિબાન શાસનના સંરક્ષણ મંત્રી મુલ્લા મોહમ્મદ યાકૂબ મુજાહિદે પાકિસ્તાનને સ્પષ્ટ અને સખ્ત ચેતવણી આપી છે. તેમણે કહ્યું છે કે અફઘાનિસ્તાન વિરૂદ્ધ કોઈપણ પ્રકારની સેનાકીય કાર્યવાહી કરતા પહેલાં બે વાર વિચારજો. કારણ કે કોઈપણ કાર્યવાહીનો જવાબ તેટલો જ કઠોર રીતે આપવામાં આવશે. તેમણે વધુમાં કહ્યું હવે બહુ થઈ ગયું છે. સાથે રેડ-લાઇન ખેંચતાં જણાવી દીધું છે કે ઈસ્લામાબાદ અફઘાનિસ્તાનનાં સાર્વભૌમત્વ કે પ્રાદેશિક અખંડિતતા સામે કોઈપણ લશ્કરી પગલું ભરશે તો તેના ગંભીર પરિણામો ભોગવવા પડશે.
મુજાહિદે ભારપૂર્વક કહ્યું હતું કે તાલિબાન કોઈપણ હુમલાનો જવાબ ઉતાવળે નહીં પરંતુ પૂરેપૂરો વિચાર કરીને અને દ્રઢ સંકલ્પ સાથે આપશે.
વાસ્તવમાં આ ચેતવણી તેવા સમયે આપવામાં આવી છે કે, તાલિબાન અફઘાનિસ્તાનમાં પોતાની સત્તાનાં પાંચમાં વર્ષમાં પ્રવેશી ચુક્યા છે. ૧૫મી ઓગસ્ટે જ પાંચ વર્ષ પૂર્વે તેમણે કાબુલ ઉપર સંપૂર્ણ કબ્જો મેળવ્યો હતો.આ પછી પાકિસ્તાન અફઘાનિસ્તાન વચ્ચેના સંબંધો તંગ બનતા જ ગયા છે. પાકિસ્તાને પોતાના જ વિસ્તારનાં તહેરિક-એ-તાલિબાન-એ પાકિસ્તાન (ટીટીપી)ના આતંકી હુમલાઓનો હવાલો આપતાં અને ટીટીપીને પનાહ આપવાનો આક્ષેપ કરવા સાથે પાકિસ્તાને પૂર્વ અફઘાનિસ્તાન ઉપર હવાઈ હુમલા શરૂ કરી દીધા છે બંને તરફથી સામસામી લશ્કરી મુઠભેડ સતત ચાલી જ રહી છે. બીજી તરફ તાલિબાને ટીટીપીને આશ્રય આપવાની ના કહી છે તો અફઘાનિસ્તાનને સ્પર્શીને આવેલા પાકિસ્તાનના ખૈબર-પખ્તુનવા પ્રાંતમાં જબરજસ્ત વિદ્રોહ શરૂ થઈ ગયો છે તેને અફઘાનિસ્તાનનું પીઠબળ છે તેવો પાકિસ્તાનનો આક્ષેપ છે. આમ પરિસ્થિતિ વધુ ને વધુ ગુંચવાતી જાય છે.




