પશ્ચિમ બંગાળના પાટનગર કોલકાતામાં મંગળવારે મોડી રાત્રે 2 વાગ્યે એક હોટલમાં ભીષણ આગ ફાટી નીકળતાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. આ અગ્નિકાંડમાં 9 બાંગ્લાદેશી નાગરિકોના મોત નીપજ્યા છે, જ્યારે અન્ય 6 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, ભોગ બનનાર તમામ લોકો મેડિકલ સારવાર કરાવવા માટે કોલકાતા આવ્યા હતા અને આ હોટલમાં રોકાયા હતા. ઘટના અંગે તપાસ શરૂ કરાઈ છે.
ફાયર બ્રિગેડ વિભાગના અધિકારીઓ મુજબ, હોટલમાં આ આગ મંગળવારે મોડી રાત્રે આશરે 2 વાગ્યાની આસપાસ લાગી હતી. આગ લાગતાં જ નાસભાગ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસિસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો. ફાયર ફાઈટરોએ યુદ્ધના ધોરણે બચાવ અને રાહત કામગીરી હાથ ધરીને આગ પર કાબૂ મેળવ્યો હતો. રાત્રે બે 2:00 વાગ્યે જ્યારે મોટાભાગના લોકો ગાઢ ઊંઘમાં હતા ત્યારે અચાનક આગ ફાટી નીકળી હતી. જોતજોતામાં ધુમાડાના ગોટેગોટા સમગ્ર બિલ્ડિંગમાં ફેલાઈ જતાં અનેક લોકો અંદર ફસાઈ ગયા હતા. ઘટનાની માહિતી મળતાં જ 4 ફાયર ટેન્ડર અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી.
ઘટનામાં દાઝી ગયેલા 6 લોકોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. તેમની વર્તમાન સ્થિતિ અંગે તાત્કાલિક કોઈ ચોક્કસ માહિતી મળી શકી નથી. ઘટનાસ્થળ પરથી મળેલા દૃશ્યો અનુસાર, જે હોટલમાં આગ લાગી તે અત્યંત ગીચ બાંધકામ ધરાવતા વિસ્તારમાં આવેલી એક જૂની ઈમારતમાં કાર્યરત હતી. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી સ્પષ્ટ થઈ શક્યું નથી. વહીવટી તંત્ર દ્વારા સમગ્ર બનાવ અંગે ઝીણવટભરી તપાસ શરૂ કરવામાં આવી છે અને આગ કેવી રીતે લાગી તે જાણવા માટે હોટલ પરિસરનું ટેકનિકલ ઈન્સ્પેક્શન કરવામાં આવશે.
2 દિવસમાં પશ્ચિમ બંગાળમાં બીજો મોટો અગ્નિકાંડ બન્યો
કોલકાતાની આ કરુણાંતિકા પશ્ચિમ બંગાળના બીરભૂમ જિલ્લામાં બનેલી આગની ઘટનાના માત્ર બે જ દિવસ બાદ સામે આવી છે. જેમાં તારાપીઠ મંદિર નજીક પવિત્ર કુંડ પાસે આવેલી પાંચ માળની ‘હોટેલ બિદેશિની’ ના ગ્રાઉન્ડ ફ્લોર પર વહેલી સવારે 4:30 વાગ્યે આગ લાગી હતી. જેમાં 8 લોકોના મોત થયા હતા અને અનેક લોકો ઈજાગ્રસ્ત થયા હતા. રાજ્યમાં માત્ર 48 કલાકની અંદર બે મોટી હોટેલોમાં અગ્નિકાંડ સર્જાતાં હોટેલોમાં ફાયર સેફ્ટી અને ઈલેક્ટ્રિકલ મેન્ટેનન્સના નિયમો પર ગંભીર સવાલો ઊભા થયા છે.
—————————–






