રણપ્રદેશ કચ્છમાં સગવડભરી હવાઈ સેવાઓનો વ્યાપ સતત વધી રહ્યો છે. તાજેતરમાં જ મુંદરા એરપોર્ટ ટર્મિનલથી ‘સ્ટાર એર’ દ્વારા મુંદરા-અમદાવાદ વચ્ચેની સીધી વિમાની સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ સફળતા વચ્ચે હવે એર ટેક્સી સેવા દ્વારા મુંદરાથી રાજકોટ, જામનગર અને દીવ માટે મિની વિમાની સેવા શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે. આગામી રક્ષાબંધનના તહેવાર નિમિત્તે ૨૮ ઓગસ્ટથી આ નવી હવાઈ સેવાનો પ્રારંભ થશે, જે અંગે એર ટેક્સીના અધિકારીઓએ સત્તાવાર સમર્થન આપ્યું છે.
ઉલ્લેખનીય છે કે, મુંદરા અને અમદાવાદ વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલી ચાર સીટર મિની ફ્લાઈટ સેવા આગામી ૨૭ ઓગસ્ટથી બંધ કરવામાં આવશે, કારણ કે મુંદરા-અમદાવાદ રૂટ પર હવે મોટા વિમાનની સેવા કાર્યરત થઈ ચૂકી છે. આ ચાર સીટર મિની વિમાનનો ઉપયોગ હવે રાજકોટ, જામનગર અને દીવના રૂટ માટે કરવામાં આવશે. આ દૈનિક સેવા માટે ચાર સીટર વિમાનમાં હાલના તબક્કે નિયમ મુજબ માત્ર બે મુસાફરોને જ લઈ જવાની વ્યવસ્થા રાખવામાં આવી છે.
૨૮ ઓગસ્ટથી શરૂ થનારી આ સેવાઓ માટેનું ઓનલાઈન બુકિંગ પણ શરૂ કરી દેવાયું છે. ફ્લાઈટના સમયપત્રક મુજબ, આ વિમાન સવારે ૯:૪૬ વાગ્યે મુંદરાથી ઉપડીને સવારે ૧૧:૧૫ વાગ્યે દીવ પહોંચશે. ત્યારબાદ દીવથી સવારે ૧૧:૪૦ વાગ્યે રવાના થઈ બપોરે ૧:૦૯ વાગ્યે પરત મુંદરા આવશે. મુંદરાથી બપોરે ૧:૩૪ વાગ્યે ઉપડીને ૨:૨૦ વાગ્યે રાજકોટ પહોંચશે અને રાજકોટથી બપોરે ૨:૪૫ વાગ્યે ઉપડીને ૩:૩૦ વાગ્યે મુંદરા પરત ફરશે. ત્યારબાદ મુંદરાથી બપોરે ૩:૫૫ વાગ્યે ઉપડીને સાંજે ૪:૧૧ વાગ્યે જામનગર પહોંચશે. નવી એર ટેક્સી સેવા શરૂ થવાથી કચ્છ અને સૌરાષ્ટ્ર તેમજ દીવ વચ્ચેનો પ્રવાસ વધુ સરળ અને ઝડપી બનશે





