અમેરિકન રાજદૂત સર્જિયો ગોરે શ્રીનગરમાં ‘જમ્મુ-કાશ્મીર ભારતનો ભાગ છે’ તેવા નિવેદનથી પાકિસ્તાનમાં ખળભળાટ મચી ગયો છે. તેમણે અમેરિકન નાગરિકોને કાશ્મીરની મુલાકાત લેવા પ્રોત્સાહિત કરવાની વાત પણ કરી હતી. પાકિસ્તાને ઇસ્લામાબાદ ખાતેના અમેરિકન ઉપ-રાજદૂતને વિરોધ પત્ર પાઠવી આ નિવેદનને ફગાવ્યું હતું. જોકે, પાકિસ્તાને ટ્રમ્પને કાશ્મીર મુદ્દે મધ્યસ્થી કરવા વિનંતી પણ કરી હતી, જે તેની બેવડી નીતિ દર્શાવે છે.
અમેરિકન પ્રમુખના ભારત સ્થિત રાજદૂત સર્જિયો ગોરે શ્રીનગર ખાતે આપેલા એક મહત્ત્વના નિવેદનને કારણે પાકિસ્તાનમાં મોટો ખળભળાટ મચી ગયો છે. ભારતમાં અમેરિકાના રાજદૂત સર્જિયો ગોરે કાશ્મીર પ્રવાસ દરમિયાન સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે ‘જમ્મુ-કાશ્મીર ભારતનો જ ભાગ છે.’ આ સાથે તેમણે અમેરિકન નાગરિકોને કાશ્મીરની મુલાકાત લેવા પ્રોત્સાહિત કરવાની અને ટ્રાવેલ એડવાઇઝરીની સમીક્ષા કરવાની વાત પણ કરી હતી. સુપરપાવર દેશના પ્રતિનિધિ દ્વારા જાહેર મંચ પરથી કાશ્મીરને ભારતનું અભિન્ન અંગ ગણાવતા જ આંતરરાષ્ટ્રીય સ્તરે પાકિસ્તાનનો ખોટો પ્રોપેગેન્ડા પડી ભાંગ્યો છે.
અમેરિકન રાજદૂત સર્જિયો ગોરના આ નિવેદનથી અકળાયેલા પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે ઇસ્લામાબાદ ખાતે તહેનાત અમેરિકન ઉપ-રાજદૂત સામે આકરો વિરોધ નોંધાવ્યો હતો અને તેમને એક વિરોધ પત્ર આપ્યો હતો. પાકિસ્તાની અધિકારીઓએ અમેરિકન દૂતના નિવેદનને સખત શબ્દોમાં ફગાવી દીધું હતું. પાકિસ્તાને દાવો કર્યો હતો કે કાશ્મીર એક આંતરરાષ્ટ્રીય વિવાદિત ક્ષેત્ર છે અને તેનો ઉકેલ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના પ્રસ્તાવ મુજબ થવો જોઈએ.
આ સમગ્ર ઘટનાક્રમમાં પાકિસ્તાનની લાચારી અને બેવડું વલણ સ્પષ્ટપણે છતું થયું છે. એક તરફ પાકિસ્તાન અમેરિકાને દશકો જૂની નીતિઓનું પાલન કરવાની સલાહ આપી રહ્યું છે, તો બીજી તરફ તે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સમક્ષ કાશ્મીર મુદ્દે મધ્યસ્થતા કરવા માટે વિનંતી પણ કરી રહ્યું છે.
કૂટનીતિક દ્રષ્ટિએ અમેરિકન રાજદૂતનું શ્રીનગર જવું અને ત્યાંથી કાશ્મીરને ભારતનો ભાગ ગણાવવો એ ખૂબ જ મહત્ત્વપૂર્ણ ઘટના છે. જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવ્યા બાદ શાંતિ અને વિકાસનો નવો યુગ શરૂ થયો છે, જે હવે દુનિયા જોઈ રહી છે.
————————





