બ્રિટનના હવામાન વિભાગે અલ-નિનો અંગે ચિંતાજનક આગાહી કરી છે. આ સદીનો સૌથી તાકાતવર અલ-નિનો 2027માં વૈશ્વિક ગરમીના તમામ રેકોર્ડ તોડશે. પ્રશાંત મહાસાગરનું તાપમાન 2.6 ડિગ્રી સેલ્સિયસ વધ્યું છે, જે નવેમ્બર સુધીમાં 3.9 ડિગ્રી સુધી પહોંચી શકે છે. ભારતમાં ચોમાસું 90% રહેશે, જે છેલ્લા 11 વર્ષમાં સૌથી ઓછું છે. રવી પાકને નુકસાન થવાથી મોંઘવારી વધશે.
બ્રિટનના હવામાન વિભાગ દ્વારા અલ-નિનોને લઈને એક અત્યંત ચિંતાજનક આગાહી કરવામાં આવી છે. અહેવાલો મુજબ, આ વર્ષનો અલ-નિનો આ સદીનો સૌથી તાકાતવર અને છેલ્લા 100 વર્ષનો સૌથી ભયાનક અલ-નિનો સાબિત થઈ શકે છે. હવામાન વિજ્ઞાનીઓએ ચેતવણી આપી છે કે 2027માં પડનારી અસહ્ય ગરમી વૈશ્વિક સ્તરે તમામ જૂના રેકોર્ડ તોડી નાખશે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર પ્રશાંત મહાસાગરનું તાપમાન સતત વધી રહ્યું છે. વર્ષ 2015ની સરખામણીએ હાલમાં મહાસાગરનું તાપમાન 2.6 ડિગ્રી સેલ્સિયસ વધુ નોંધાયું છે. જે નવેમ્બર સુધીમાં વધીને 3.9 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે. વિશ્વભરનું સરેરાશ તાપમાન હાલમાં સામાન્ય કરતાં 1.5 ડિગ્રી વધુ છે. આ સ્થિતિ હવામાનમાં મોટા પાયે ફેરફારો લાવશે. અલ-નિનોની અસરોને કારણે ભારતના કૃષિ ક્ષેત્રને ભારે નુકસાન પહોંચવાની શક્યતા છે. ચોમાસા પર તેની અસરને લીધે ભારતમાં આ મોસમમાં સામાન્યના 90 ટકા જેટલો જ વરસાદ થવાની ધારણા છે. જે છેલ્લા 11 વર્ષમાં સૌથી ઓછો છે. તાપમાન સામાન્ય કરતાં 3 ડિગ્રી વધુ રહેવાના કારણે ભારત દેશના બે મુખ્ય પાકો તેમજ આગામી રવી પાકના ઉત્પાદનને માઠું ગ્રહણ લાગશે.




