દિલ્હીમાં થોડા દિવસ પહેલા સત્ય નિકેતનમાં એક ઈમારત ધરાશાયી થઈ હતી. જેમાં 7 લોકોના કરૂણ મોત થયાં હતાં. આ દુર્ઘટના બાદ હવે MCD એ દિલ્હીમાં જર્જરિત અને નિયમોનું ઉલ્લંખન કરવામાં આવ્યું હોય તેવી ઈમરાતો સામે કાર્યવાહી શરૂ કરી દીધી છે. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે સત્ય નિકેતનની આસપાસ આવેલી જર્જરિત ઈમારતોને પણ ધ્વસ્ત કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. જે ઇમારતો જોખમી હાલતમાં છે તેને પાડી દેવા માટેની કાર્યવાહી MCD દ્વારા શરૂ કરી દેવામાં આવી છે.
ડિમોલિશન પહેલા જોખમી ઇમારતોને લોખંડના બીમથી ટેકો આપવામાં આવી રહ્યો છે જેથી આસપાસની મિલકતો અથવા કામગીરી કરી રહેલી ટીમને નુકસાન પહોંચાડ્યા વિના તેમને સુરક્ષિત રીતે તોડી શકાય! સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે MCDની ટીમ દ્વારા સર્વે કરવામાં આવ્યું તેના પછી આ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. સર્વેમાં દિલ્હીની 51 ઈમારતો જોખમી અને જર્જરિત હોવાનું સાબિત થયું છે. આ 51 ઈમારતોમાંથી 27 ઈમારતોને પાડી દેવાનો આદેશ આપી દેવામાં આવ્યો છે. આ સિવાય સાત ઈમારતોને સીલ કરી દેવામાં આવી છે. જ્યારે 35 બિલ્ડિંગના માલિકોને નોટિસ આપી દેવામાં આવી છે.
સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણ MCDએ વેસ્ટ ઝોન અને શાહદરામાં જર્જરિત ઈમારતોને પાડી દેવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશને છેલ્લા ત્રણ મહિનામાં રાજધાનીમાં ગેરકાયદેસર બાંધકામો સામે મોટા પાયે કાર્યવાહી હાથ ધરી છે. MCDના રિપોર્ટ પ્રમાણે અનધિકૃત બાંધકામો અંગે 1,551 કારણદર્શક નોટિસ જારી કરવામાં આવી હતી. કોર્પોરેશને તે જ સમય મર્યાદામાં 753 તોડી પાડવાના આદેશો પણ જારી કર્યા હતા. અહેવાલ મુજબ, ગેરકાયદેસર બાંધકામો સામે MCD ની ઝુંબેશ હજી પણ ચાલી રહી છે. એક જ દિવસમાં 17 મિલકતો પર તોડી પાડવાની કાર્યવાહી કરવામાં આવી હતી, જ્યારે 5 મિલકતો સીલ કરવામાં આવી હતી. વધુમાં, 8 સપ્ટેમ્બરે અનધિકૃત બાંધકામો સંબંધિત 9 કારણદર્શક નોટિસ અને સીલ કરવા સંબંધિત 2 કારણદર્શક નોટિસ જારી કરવામાં આવી હતી.






