બાંગ્લાદેશે રવિવારે કહ્યું કે તે ભારતની સાથે પોતાના સંબંધોને સુધારો (‘રિસેટ’) કરવા માંગે છે અને પરસ્પર હિતોના આધારે નવા દ્વિપક્ષીય જોડાણની દિશામાં આગળ વધવા માંગે છે. બાંગ્લાદેશના વિદેશ બાબતોના રાજ્ય મંત્રી હુમાયૂં કબીરે શેખ હસીનાના પ્રધાનમંત્રી રહેવા દરમ્યાન ભારત-બાંગ્લાદેશના સંબંધોને અસહજ ગણાવ્યા. તેમણે કહ્યું કે ઢાકા દ્વિપક્ષીય વાતચીત દ્વારા નવી દિલ્હીની સાથે નવા સંબંધો તરફ વધવા માંગે છે.
આ નિવેદનો એવા સમયે આવ્યા છે જ્યારે બાંગ્લાદેશે બે દિવસ પહેલાં કહ્યું હતું કે વડાપ્રધાન તારિક રહેમાન બ્રિક્સ શિખર સંમેલનમાં ભાગ લેશે નહીં, કારણ કે તેમને વ્યક્તિગત રીતે આ કાર્યક્રમ માટે આમંત્રિત કરવામાં આવ્યા ન હતા અને નિમંત્રણ BIMSTEC ના અધ્યક્ષને આપવામાં આવ્યું હતું. બે દિવસીય બ્રિક્સ શિખર સંમેલન રવિવારે સમાપ્ત થયું. ભારતે રહેમાનને BIMSTEC ના અધ્યક્ષ તરીકે તેમાં સામેલ થવા માટે આમંત્રિત કર્યા હતા, જ્યારે એક અલગ દ્વિપક્ષીય નિમંત્રણ ફેબ્રુઆરીથી જ અસ્તિત્વમાં હતું.
કબીરે પત્રકારોને કહ્યું,’અમે એક નવા સંબંધ તરફ આગળ વધવા માંગીએ છીએ, જે બહુપક્ષીય મંચ દ્વારા નહીં, પરંતુ દ્વિપક્ષીય વાતચીત દ્વારા થવું જોઇએ.’ તેમણે એમ પણ કહ્યું કે બાંગ્લાદેશે ભારતને લઇને આગળ વધવા અને નવી દિલ્હી સાથે સંબંધોને સંતુલિત રીતે જોવા જરુરી છે. તેમણે કહ્યું કે બાંગ્લાદેશે પરસ્પર સંબંધો પર ધ્યાન આપવું જોઇએ અને ભારતની સાથે સંબંધોને બીજા દેશોની સાથે પોતાના વ્યાપક જોડાણના ભાગ તરીકે જોવું જોઇએ. તેમણે કહ્યું, ‘આપણે ભારતના આકર્ષણમાંથી બહાર નીકળવું પડશે. ભારત ફક્ત એક દેશ છે અને બાંગ્લાદેશ તેની સાથે સારા દ્વિપક્ષીય સંબંધો ઈચ્છે છે.’ એક પ્રશ્નના જવાબમાં કબીરે કહ્યું, ‘ભારતમાં નાસ્તો, ભારતમાં બપોરનું ભોજન, ભારતમાં રાત્રે ભોજન તો પછી તમે તમારું ભોજન ક્યારે ખાશો?’





