આરોગ્ય કર્મીઓ દ્વારા હડતાળ સમેટવાની જાહેરાત કરાયા બાદ એક વાર ફરી આરોગ્ય કર્મચારી સંઘના કન્વીનરોએ ગાંધીનગર ખાતે મહત્વની બેઠક બોલાવી છે. છેલ્લા કેટલાય સમયથી ગાંધીનગર ખાતે જિલ્લા પંચાયતના આરોગ્ય કર્મચારીઓની હડતાળ ચાલી રહી હતી તે હવે સમેટાઈ ગઇ છે. મહત્વનું છે કે, આરોગ્ય કર્મીઓને ટેક્નિકલમાં ગણવા સંદર્ભે હવે એક કમિટીની રચના થશે. આ કમિટીની રચનામાં આરોગ્ય કર્મચારીઓ પણ સામેલ હશે. પરંતુ હડતાળ પૂર્ણ થયા બાદ એક વાર ફરીથી વધુ એક વિવાદ સર્જાયો છે.
સરકારે આરોગ્ય કર્મીઓની માંગ સ્વીકારતા ગઇકાલે મોડી રાત્રે આરોગ્ય કર્મીઓ દ્વારા હડતાળ પૂર્ણ કરવાની જાહેરાત થઈ હતી. પરંતુ હડતાળ પૂર્ણ થયા બાદ એકવાર ફરીથી નવો વિવાદ ઊભો થયો છે. આરોગ્ય કર્મચારી સંઘના કન્વીનરોએ ગાંધીનગર ખાતે મહત્વની બેઠક બોલાવી છે. જેમાં તમામ જિલ્લાના મુખ્ય કન્વીનરો તથા મુખ્ય હોદ્દેદારોને હાજર રહેવા ફરમાન કરવામાં આવ્યું છે. જોકે કયા કારણોસર આ બેઠક બોલાવવામાં આવી છે તે અંગે હજુ સુધી કોઇ જાણકારી નથી. પરંતુ હવે જોવાનું એ રહ્યું કે, સરકારે આરોગ્ય કર્મીઓની માંગ તો સ્વીકારી લીધી છે તો પછી આ બેઠક આખરે શા માટે બોલાવવામાં આવી છે. તેમજ આગામી સમયમાં આ બેઠકમાં આરોગ્ય કર્મીઓ શું નિર્ણય લઇ શકે?
આરોગ્યકર્મીઓની જે માંગ છે તેની પર સરકારે સહમતી દર્શાવી છે. જેમ કે કોરોના રજા પગાર, કોરોના ભથ્થું, ટ્રાવેલ અલાઉન્સ અને સરકાર તરફથી થયેલા કેસો પરત કરવાની માંગ પર સહમતી દર્શાવવામાં આવી છે. એટલે કે આરોગ્ય મંત્રી સાથેની બેઠકમાં આરોગ્ય કર્મીઓની માંગો સ્વીકારાઈ છે. પરંતુ તેમ છતાં આ મામલો ફરી ગરમાયો છે.