અસત્ય પર સત્યના વિજય પર્વ સમા દશેરાએ ભાવનગરમાં બે સ્થળોએ પરંપરાગત રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે. જવાહર મેદાનમાં સિંધી સમાજ અને ચિત્રા યાર્ડમાં બજરંગ વિકાસ સમિતિના ઉપક્રમે બુધવારે સાંજે ૬ કલાકથી વિજયા દશમી મહોત્સવ યોજાશે.

શહેરના પૂર્વ વિસ્તારમાં સિંધી સમાજ ભાવનગર પ્રેરિત નવરાત્રી દશેરા મહોત્સવ સમિતિ દ્વારા જવાહર મેદાન ખાતે ૩૦ વર્ષથી રાવણ દહનની પરંપરા રહી છે. જે મુજબ કાલે સાંજે રાવણ દહન કરવામાં આવશે. આ કાર્યક્રમમાં ભાઇસાહેબ દિપકકુમાર, દુઃખભંજની દેવુમા, શિક્ષણમંત્રી જીતુભાઇ વાઘાણી, મેયર કિર્તીબેન દાણીધારીયા, સાંસદ ભારતીબેન શિયાળ, ધારાસભ્ય વિભાવરીબેન દવે સહિતના નેતાગણ તેમજ રાજકીય-સામાજિક આગેવાનો ઉપસ્થિત રહેશે.

ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી દ્વારા પ્રેરિત અને બજરંગ વિકાસ સમિતિ દ્વારા આયોજિત રાવણ દહન કાર્યક્રમ બુધવારે સાંજે ૬ કલાકે શહેરના ચિત્રા માર્કેટિંગ યાર્ડ ખાતે યોજાશે, આ કાર્યક્રમની તૈયારી ઓને આખરી ઓપ અપાઇ રહ્યો છે. શહેરના પ્રવેશ દ્વારે આવેલ ચિત્રાના માર્કેટિંગ યાર્ડ ખાતે છેલ્લા ૯ વર્ષથી સતત “વિજયાદશમી મહોત્સવ- રાવણ દહન” કાર્યક્રમ સંતો-મહંતોની વિશેષ ઉપસ્થિતિમાં આતશબાજી અને સાંસ્કૃતિક કાર્યક્રમ નું આયોજન શ્રી જીતુભાઈ વાઘાણીની પ્રેરણાથી કરવામાં આવે છે. પોતાના મતવિસ્તારના લોકોને તેમજ ભાવનગર તાલુકાના ગ્રામ્ય વિસ્તારના લોકોને નજીકમાંજ આ પૌરાણિક મહત્વ ધરાવતા કાર્યક્રમનો લાભ મળી રહે તેવા હેતુસર શરુ થયેલ કાર્યક્રમ દર વર્ષે રંગ જમાવતો જાય છે. આ કાર્યક્રમમાં રાજકીય રાજકીય, સામાજિક અગ્રણીઓ, ઉધાયોગપતિઓ ની વિશેષ ઉપસ્થિતિમાં કાર્યક્રમનું આયોજન થવાનું છે. આ કાર્યક્રમ અંગે માહિતી આપતા બજરંગ વિકાસ સમિતિના અધ્યક્ષ દ્વારા જણાવવામાં આવે છે કે “વિજયાદશમી મહોત્સવ- રાવણ દહન” કાર્યક્રમની વ્યવસ્થા પૂર્ણાહુતિના આરે છે. આ પ્રસંગે નગરજનોને લાભ લેવા જણાવાયું છે.






