રાજ્યમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતો મહામુશ્કેલીમાં પડ્યા છે. ખેડૂતોના કાપણી કરેલા પાક અને ઉભા પાકોને ખાસું એવું નુકશાન થઇ રહ્યું છે. ગઇ રાત્રે પણ રાજ્યના અનેક ભાગોમાં નોંધપાત્ર વરસાદ પડ્યો હોવાથી ખેડૂતોના મોઢાના કોળીયા છીનવાયા છે.તો આગામી દિવસોમાં પણ માવઠાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આજે રાજ્યના હવામાન વિભાગે ઉત્તર તથા સૌરાષ્ટ્રના ભાગોમાં વસસાદ પડવાની આગાહી કરી છે.
રાજ્યમાં ગઈકાલે સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓ ધોધમાર વરસાદ વરસ્યો હતો, તો અમદાવાદ અને ઉ. ગુજરાત સહિતના ભાગોમાં છૂટછવાયો વરસાદ થયો હતો. આજે પણ સૌરાષ્ટ્ર કચ્છના કેટલાક ભાગોમાં વરસાદી વાતાવરણ રહેવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર -કચ્છના ભાવનગર, જામનગર, જૂનાગઢ, પોરબંદર, અમરેલી, દ્વારકા અને કચ્છ સહિત ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા અને પાટણમાં વરસાદ થવાની આગાહી છે. આ ભાગોમાં સામાન્યથી હળવા વરસાદની આગાહી કરાઈ છે. 40 કિલોમીટરની ગતિએ પવન ફૂંકાવાની સંભાવના છે.
આ પછી આગામી ત્રણ દિવસ સુધી હવામાન સૂકું રહેવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.
ગુરુવારે રાજ્યના સૌરાષ્ટ્રના રાજકોટ, જામનગર, પોરબંદર, અમરેલી, દ્વારકા સહિત અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદ નોંધાયો છે. અમદાવાદના કેટલાક ભાગોમાં જાણે ચોમાસું જામ્યું હોય તે રીતે વરસાદી માવઠું થયું હતું.
રાજ્યમાં માવઠાનો માહોલ ઉભો થયો હોવાના કારણે સામાન્ય વર્ષોમાં આ સમયમાં આકરી ગરમીની શરુઆત થઈ ગઈ હોય પરંતુ આ વખતે સામાન્ય કરતા પણ નીચું તાપમાન નોંધાય છે. હવામાન વિભાગ દ્વારા આ પ્રકારની ઘટનાઓ પાછળ ગ્લોબલ વોર્મિંગને જવાબદાર ઠેરવીને આ પ્રકારની પરિસ્થિતિઓનો સામનો કરવા સ્વસ્થતા પ્રત્યે વધારે જાગૃત રહેવાની સલાહ આપવામાં આવે છે.