અલાહાબાદ હાઈકોર્ટમાં આજે એટલે કે બુધવારે વારાણસીના જ્ઞાનવાપી પરિસરમાંથી મળી આવેલા કથિત શિવલિંગના કાર્બન ડેટિંગ દ્વારા વૈજ્ઞાનિક સર્વેક્ષણની માગણી અંગે સુનાવણી હાથ ધરવામાં આવશે.આજે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ દ્વારા જવાબ દાખલ કરવામાં આવશે. ગત સુનાવણીમાં કોર્ટે 2 સપ્તાહમાં જવાબ દાખલ કરવા માટે સમય આપ્યો હતો.
એએસઆઈ દ્વારા કરવામાં આવેલી કમિશન કાર્યવાહી દરમિયાન મળી આવેલા કથિત શિવલિંગનું વૈજ્ઞાનિક સર્વે કરાવવાની માગણી માટે એક અરજી દાખલ કરવામાં આવી છે. મહત્ત્વનું છે કે, 16 મે 2022ના રોજ કમિશનની કાર્યવાહી દરમિયાન કથિત શિવલિંગ મળી આવ્યું હતું. હિન્દુ પક્ષ તરફથી વારાણસીની નીચલી અદાલતમાં કથિત શિવલિંગની કાર્બન ડેટિંગને લઈને અરજી દાખલ કરવામાં આવી હતી. પરંતુ કોર્ટે આ માંગને ફગાવી દીધી હતી. જે બાદ હિન્દુ પક્ષ તરફથી કાર્બન ડેટિંગને મંજૂરી ન આપવાના નીચલી કોર્ટના નિર્ણય સામે હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. હિંદુ પક્ષે ચુકાદા સામે અરજી દાખલ કરી છે.
આ સમગ્ર મામલે અરજીકર્તા લક્ષ્મી દેવી, સીતા સાહુ, મંજુ વ્યાસ અને રેખા પાઠક વતી હાઈકોર્ટમાં સિવિલ રિવિઝન દાખલ કરવામાં આવી છે. છેલ્લી સુનાવણીમાં કોર્ટે એએસઆઈને પૂછ્યું હતું કે, શું કથિત શિવલિંગને નુકસાન પહોંચાડ્યા વિના તેની કાર્બન ડેટિંગ કરી શકાય છે. જેના પર આજે એએસઆઈ વતી કોર્ટમાં એફિડેવિટ દાખલ કરવામાં આવશે. વાસ્તવમાં વારાણસી કોર્ટે વૈજ્ઞાનિક સર્વે કરાવવાની અરજી ફગાવી દીધી હતી. કાર્બન ડેટિંગથી કથિત શિવલિંગને નુકસાન થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી.





