મહારાષ્ટ્રના થાણે જિલ્લાના ભિવંડી શહેરમાં તાજેતરમાં ધરાશાયી થયેલી બે માળની ઇમારતના કાટમાળમાંથી રવિવારે વધુ ત્રણ લોકોના મૃતદેહ મળી આવ્યા હતા. વિગતો મુજબ આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં મૃત્યુઆંક 7 થઈ ગયો છે. થાણે મ્યુનિસિપલ કોર્પોરેશન ના પ્રાદેશિક ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ ના વડા અવિનાશ સાવંતે જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં લગભગ 12 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. હજુ પણ બે મજૂરો કાટમાળમાં ફસાયા હોવાની આશંકા છે. આ સાથે બે માળની ઇમારતના માલિકની અટકાયત કરવામાં આવી છે.
થાણેના ભિવંડીના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ નવનાથ ધવલે જણાવ્યું હતું કે, બિલ્ડિંગના માલિક ઇન્દરપાલ પાટીલ વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની વિવિધ કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. અધિકારીએ જણાવ્યું કે, આ ઘટનાના સંબંધમાં પૂછપરછ માટે પાટીલને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે.


