પંજાબના અમૃતસર સ્થિત હેરિટેજ સ્ટ્રીટમાં આજે ફરી એક બ્લાસ્ટ થયો છે. વિગતો મુજબ વિસ્ફોટ આજે સવારે 6:30 વાગ્યે હેરિટેજ સ્ટ્રીટની સામે સારાગઢી સરાઈ પાસે થયો હતો. આ પહેલા શનિવારે રાત્રે અમૃતસરના સુવર્ણ મંદિરના પાર્કિંગમાં બનેલી રેસ્ટોરન્ટમાં ચીમનીમાં બ્લાસ્ટ થયો હતો. પોલીસને શંકા છે કે, શનિવારના બ્લાસ્ટમાં IEDનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
સોમવારના બ્લાસ્ટમાં કોઈ નુકસાન કે ઈજાના સમાચાર નથી. એવું કહેવામાં આવી રહ્યું છે કે, વિસ્ફોટક (બોમ્બ) હેરિટેજ પાર્કિંગમાં લટકાવવામાં આવ્યો હતો અને ત્યાં બ્લાસ્ટ થયો હતો. સ્થાનિક એફએસએલની ટીમે ઘટનાસ્થળે પહોંચીને સેમ્પલ લીધા છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ કમિશનર ઘટના સ્થળે પહોંચી ગયા છે.
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર વિસ્ફોટનો અવાજ ખૂબ જ જોરદાર હતો અને લોકોએ તેના પછી ધુમાડો નીકળતો જોયો. અમૃતસરના એડીસીપી મહેતાબ સિંહે અમૃતસરના સુવર્ણ મંદિર પાસે થયેલા વિસ્ફોટના સમાચાર પર પ્રતિક્રિયા આપતા કહ્યું, અમે તપાસ કરી રહ્યા છીએ. અહીં સ્થિતિ સામાન્ય છે. બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ અને એફએસએલની ટીમો અહીં પહોંચી ગઈ છે. એક વ્યક્તિને પગમાં નાની-મોટી ઈજાઓ છે.
આ પહેલા પણ પંજાબના અમૃતસરમાં શનિવારે સાંજે જોરદાર વિસ્ફોટ થયો હતો. અમૃતસરમાં ગોલ્ડન ટેમ્પલ પાસે હેરિટેજ સ્ટ્રીટ પાસે આવેલી મીઠાઈની દુકાનમાં ચીમનીના કારણે વિસ્ફોટ થયો હતો, જેના પછી ત્યાં હાજર લોકો ગભરાઈ ગયા હતા. જ્યાં બ્લાસ્ટ થયો હતો ત્યાંથી ગોલ્ડન ટેમ્પલ માત્ર 1 કિમી દૂર છે. વિસ્ફોટની તીવ્રતા એટલી જોરદાર હતી કે, ભક્તો પર કાંકરા પડ્યા અને કેટલાક ઘરોની બારીઓ પણ તૂટી ગઈ.




