રીઝર્વ બેન્ક ઓફ ઈન્ડીયાએ ગઈકાલે સાંજે સકર્યુલેશનથી રૂા.2000 ની ચલણી નોટો પાછી ખેચવાની જાહેરાત કરીને વ્યાપાર ઉદ્યોગ સહિતના ક્ષેત્રમાં ભૂકંપ જેવા આંચકા આવ્યા પણ આ આંચકો 2016 કરતા ઓછી તીવ્રતાનો હતો. રૂા.2000 ની ચલણી નોટો 30 સપ્ટેમ્બર 2023 સુધી માન્ય ચલણ રહેશે તેવી જાહેરાત કરતાં જ બજારમાં જબરી અફડાતફડી મચી ગઈ હતી અને એક તરફ લોકો ઘરમાં પણ અગાઉ જે ગુલાબી નોટ જોઈને હરખાતા હતા તેમાં આ નોટનાં નિકાલ માટે બજારમાં દોડયા હતા અને પેટ્રોલ પંપથી લઈ કિરાનાની દુકાન પર ભીડ જોવા મળી હતી. પણ જેમ જેમ વ્યાપાર જગતમાં પણ રૂા.2000 ની ચલણી નોટો બંધ થઈ છે તેવી માહીતી મળતા જ વેપારીઓ પણ આ ચલણી નોટો સ્વીકારવાનું બંધ કરી દીધુ હતું. તો જેઓને મોટા પેમેન્ટ કરવાના હતા તેઓએ રૂા.2000 ની નોટો બહાર કાઢીને પેમેન્ટમાં મોકલતા તે સ્વીકારવાનો પણ ઈન્કાર થયો હતો.
આમ ફરી એક વખત નાણાકીય વ્યવહારને અસર થઈ હતી. લોકો પેમેન્ટમાં રૂા.2000 ના રોજ આપવા લાગતા પરતા આપવા છુટા નથી તેવુ જણાવીને વેપારી વર્ગોએ આડકતરી રીતે આ નોટો સ્વીકારવાનું બંધ કરી દીધુ છે. વેપારીઓ વધુ પરેશાન છે. તમામ પેમેન્ટ અટકી પડયા છે જેઓ પાસે અન્ય નોટો હતી તે પણ હવે રૂા.2000 ની નોટોનો પ્રથમ નિકાલ કરવા માટે જોર લગાવી રહ્યા છે. રૂા.2000 ની નોટો વટાવવા માટે પેટ્રોલ પંપ પર લોકો વાહન સાથે પહોંચી ગયા હતા પણ નાના વાહન ધારકોને -.300-400 ના પેટ્રોલમાં પરત આપવાની સમસ્યા છે તેવુ જણાવી પેટ્રોલ પંપ ધારકોએ પણ બાદમાં રૂા.2000 ની નોટો સ્વીકારવાનો ઈન્કાર કરી દીધો હતો.
સવારથી જ રૂા.2000ની નોટો મુદે માથાકુટ
મોટા શહેરોની હોટેલમાં રૂા.2000ની નોટોથી પેમેન્ટ થવા લાગ્યુ હતું. છૂટક બજારોથી લઈને માર્કેટ યાર્ડ અને જથ્થાબંધ બજારો મળી ખરીદી કરનાર રોકડાનું જ ચલણ હોય છે. એક સમયે બહારથી માલ વેચવા આવતા લોકો રૂા.2000ની નોટો પસંદ કરતા હતા. કારણ કે તે સાચવવામાં સરળ હતી પણ ગઈકાલથી તે બંધ થતા આજે સવારે જથ્થાબંધ બજારોમાં ફ્રુટ, શાકભાજીના છૂટક વિક્રેતાઓ માટે મુશ્કેલી પડી હતી.
રૂા.2000ની નોટોના ડિસ્કાઉન્ટ બોલાવા લાગ્યા: રૂા.1500 તુર્ત આપવા ઓફર
સપ્ટે. 2023 સુધી રૂા.2000ની નોટો ચાલશે નહી તે નિશ્ર્ચિત બનતા અત્યારથી તેનો ‘ગેરલાભ’ લેવા તૈયારી છે અને ગઈકાલે જ રૂા.2000ની ચલણી નોટો રૂા.1500માં ખરીદવાની ઓફર થવા લાગી હતી અને હજુ પણ આ ડિસ્કાઉન્ટ વધશે તેવી ચિંતા છે. જેઓ પાસે બિનહિસાબી જંગી નાણું છે. રૂા.2000ની નોટોમાં તેઓ હજું થોભો-રાહ જુઓની સ્થિતિ અપનાવી રહ્યા છે. કારણ કે બેન્કોમાં ભરવાથી તેઓને આઈટીની ચિંતા છે અને નહી ભરે કે ઝડપથી નિકાલ નહી કરે તો પછી તેઓને આ નોટો વધવાની સમસ્યા રહેશે તેથી હવે તેઓ એકાદ બે દિવસમાં કેવું ‘વાતાવરણ’ બને છે તેની રાહ જોઈ રહ્યા છે.
નોટબંધી નથી, નોટ વાપસી – કેન્દ્રીય મંત્રી અશ્વિની ચૌબે
RBIએ શુક્રવારે મોટો નિર્ણય લેતા રૂ.2000ની નોટને ચલણમાંથી બંધ કરવાની જાહેરાત કરી છે. આ તરફ આ નોટો 30 સપ્ટેમ્બર સુધી માન્ય ગણવામાં આવશે. આ અંગે હવે કેન્દ્રીય મંત્રી અશ્વિની ચૌબેએ સરકારનું સમર્થન કરતા કહ્યું કે, 2018થી 2000 રૂપિયાની નોટનું પ્રિન્ટિંગ બંધ થઈ ગયું છે. આ નોટબંધી નથી, નોટ પાછી ખેંચવાની છે. જે લોકોએ કાળું નાણું ભેગું કર્યું છે તેમને આ ચોક્કસપણે પેટમાં દુ:ખી રહ્યું છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની ચૌબેએ કહ્યું કે, સામાન્ય લોકો 2000 રૂપિયાની નોટો સાથે રાખતા નથી, આ સામાન્ય લોકો માટે સમૃદ્ધિનો સંદેશ છે. કોંગ્રેસ સરકાર પર પ્રહાર કરતા નિવેદન અંગે અશ્વિની ચૌબેનું કહેવું છે કે, ભ્રષ્ટાચાર અને તેમની પાસે જંગી સંપત્તિ રાખનારાઓ માટે આ મુશ્કેલીનો વિષય છે. સામાન્ય જનતા ગરીબ માણસ 2 હજારની નોટ રાખતો નથી.
નોટો બંધ કરવી જ હતી તો પછી તેને શા માટે લાવવામાં આવી. – કોંગ્રેસે કર્યા પ્રહાર
આરબીઆઈના નોટબંધીના નિર્ણય પર કોંગ્રેસે કહ્યું છે કે, જ્યારે નોટો બંધ કરવી જ હતી તો પછી તેને શા માટે લાવવામાં આવી. કોંગ્રેસના નેતા રાજીવ શુક્લાએ કહ્યું કે, આ પ્રકારના નિર્ણયો અર્થતંત્રને મજબૂત કરવાને બદલે નબળી પાડે છે. કોંગ્રેસ નેતા ગૌરવ બલ્લભે કહ્યું કે, બીજેપી વગર વિચાર્યે 2000ની નોટ બજારમાં લાવી હતી, હવે તેને પલટવી પડશે. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે કહ્યું કે, જો 2000 રૂપિયાની નોટ પર પ્રતિબંધ મૂકવો જ હતો તો તેને શા માટે લાવવામાં આવી. જો 2000ની નોટ પહેલાથી ચલણમાં ન હતી તો આના પર પણ જવાબ આપવો જોઈએ.






