ભાવનગર, તા.૩૧
આગામી તા-૨0 જુનને મંગળવારના રોજ ભાવનગરમાં ભગવાન શ્રીજગન્નાથજીની ૩૮મી રથયાત્રાનું આયોજન કરવામાં આવેલ છે.આ રથયાત્રાની તૈયારી રૂપે ભાવનગરમાં જુદા- જુદા સ્થાનો પર કટ આઉટ, હોડિંગ લગાવવામાં આવી રહ્યા છે. જેમાં ઘોઘાગેટ ખાતે ભગવાન શ્રીકૃષ્ણનું 33 ફૂટનું કટ આઉટ લગાવવામાં આવેલ છે. બિઝનેસ સેન્ટર ખાતે હનુમાનજી મહારાજનું વિશાળ હોડિંગ લગાવવામાં આવેલ છે આ ઉપરાંત ભાવનગરના જુદા-જુદા વિસ્તારને શણગારવા માટેની તડામાર તૈયારીઓ કરવામાં આવેલ છે.
ભાવનગરને કેસરિયા માહોલથી રંગવા માટે આશરે ૨૫ થી 30 હજાર કેસરી ધ્વજો બનાવવાનું કાર્ય હાલ રથયાત્રા કાર્યાલય ખાતે અરવિંદભાઈ રાઠોડના નેતૃત્વમાં તેમની ટીમ દ્વારા તથા જુદા જુદા મંડળો દ્વારા કરવામાં આવેલ છે.આ ઉપરાંત આગામી દિવસોમાં ભાવનગરના રાજમાર્ગ પર કેસરી કમાન,ગેઈટ્સ વગેરે પણ ઊભા કરવામાં આવનાર છે.
દર વર્ષ રથયાત્રામાં દર્શનાર્થીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે તે પ્રમાણે આ વર્ષે પણ ભાવનગર શહેર અને જિલ્લા ઉપરાંત દર્શનાર્થીઓની સંખ્યામાં વધારો થવાનો છે તે મુજબ રથયાત્રા સમિતિ દ્વારા રૂટ પરના મંડળો અને સંસ્થાઓ દ્વારા પ્રસાદી,ભગવાનનું સ્વાગત તથા વિસ્તારને શણગારવામાં આવનાર છે.આ વર્ષે ઉમળકાભેર ભગવાનના દર્શન કરવા માટે અને ભગવાનનું સ્વાગત કરવા માટે લોકોમાં ઉત્સાહ અને ઉમંગ દેખાઈ રહ્યો છે. આમ ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે.




