દેશમાં લોકસભા ચૂંટણી વહેલી યોજાવાની અટકળોને વેગ મળ્યો છે. એક તરફ ભારતીય જનતાપક્ષના મોવડીમંડળે બેઠકોનો દૌર સર્જીને તમામ રાજયોમાં તેમના એકમોને ચૂંટણી માટેના એકશનમાં મુકી દીધા છે તો બીજી તરફ ચુંટણીપંચે ઈલેકટ્રોનીક વોટીંગ મશીન તથા વીવીપીએટી મશીનની ઉપલબ્ધતા સહિતની કામગીરી શરુ કરી છે અને તેમાં તમામ જીલ્લા ચૂંટણી અધિકારીઓને પ્રાથમીક રીતે તેમના વિસ્તારમાં ઈવીએમ અને વીવીપીએટીની જોડીની મોકડ્રાઈલ કરવા આદેશ આપ્યો છે.
એક અહેવાલ મુજબ કેરાલાના વાયનાડમાં ચુંટણીપંચે આ પ્રકારની કવાયત શરુ કરી હોવાથી રાહુલ ગાંધીના પુર્વ મતવિસ્તારમાં પેટાચૂંટણી યોજાઈ તેવી શકયતા દર્શાવાઈ હતી. પરંતુ ચુંટણીપંચના એક અધિકારીએ જણાવ્યું કે ફકત વાયનાડ જ નહી પરંતુ દેશભરમાં આ પ્રકારની કવાયતનો પ્રારંભ કરવામાં આવ્યો છે અને તબકકાવાર તમામ મતવિસ્તારોને આવરી લેવાશે. આ અધિકારીએ જણાવ્યું કે, ચુંટણીપંચ તેની કામગીરીના ભાગરૂપે આ પ્રક્રિયા શરુ કરી છે. જો કે તેને વ્હેલી ચુંટણી યોજાવા અંગેની અટકળો પર કોઈ ટીપ્પણી કરી ન હતી.
બીજી તરફ ભારતીય જનતાપક્ષ પણ જે રીતે એકશનમાં આવી ગયો છે તે જોતા આ વર્ષના અંતે પાંચ રાજયોની વિધાનસભા ચૂંટણીની સાથે લોકસભા ચુંટણી યોજાઈ તેવી શકયતા સામે આવી છે. બે દિવસ પહેલા જ ભાજપના વરિષ્ઠ નેતાઓની એક બેઠક બે સેશનમાં 10 કલાકથી વધુ સમયમાં ચાલી હતી અને તેમાં દરેક રાજયોની ચુંટણી તૈયારીઓ અંગેની સમીક્ષા કરવામાં આવી હતી. તો આ સપ્તાહના અંતે ભાજપ શાસનના તમામ રાજયોના મુખ્યમંત્રીઓ અને નાયબ મુખ્યમંત્રીઓ અથવા તો ભાજપ જયાં વિપક્ષમાં છે ત્યાં વિધાનસભામાં પક્ષના નેતાની એક બેઠક દિલ્હીમાં બોલાવી છે અને તેમાં ભાજપનું ટોચનું નેતૃત્વ હાજર રહેશે તેમ મનાય છે. ભાજપના સૂત્રોએ કહ્યું કે હાલ કંઈ કહી શકાય નહી પરંતુ પરીસ્થિતિની સમીક્ષા કર્યા બાદ પક્ષ આવો કોઈ નિર્ણય લઈ શકે છે.




