મહારાષ્ટ્રના પુણેમાં રવિવારે સાંજે પોલીસ કર્મચારીઓ અને વારકરીઓ ( ભગવાન વિષ્ણુના અવતાર ભગવાન વિઠ્ઠલના ભક્તો) વચ્ચે અથડામણ થઈ હતી. આ ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. જેમાં વારકરીઓને આમ-તેમ દોડતા અને પોલીસકર્મીઓ સાથે બાથ ભીડતા જોઈ શકાય છે. આ ઘટના એક શોભાયાત્રા દરમિયાન બની હતી.
આ ઘટનાને લઈને મહારાષ્ટ્રમાં રાજકારણ ગરમાયું છે. વિપક્ષનો આરોપ છે કે પોલીસે વારકરીઓ પર લાઠીચાર્જ કર્યો હતો. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું છે કે મહારાષ્ટ્રમાં મુઘલોનો પુનર્જન્મ થયો છે. જ્યારે નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું છે કે પોલીસ લાઠીચાર્જની કોઈ ઘટના બની નથી.
આ ઘટના પૂણેથી 22 કિમી દૂર આલંદી શહેરમાં બની હતી. ઔપચારિક શોભાયાત્રા દરમિયાન સંત જ્ઞાનેશ્વર મહારાજના સમાધિ મંદિરમાં યાત્રાળુઓ પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યા હતા. પોલીસે તેમને આમ કરતા અટકાવ્યા હતા, જેના કારણે અથડામણ થઈ હતી. આ શોભાયાત્રા પંઢરપુરની વાર્ષિક અષાઢી એકાદશી યાત્રાનો એક ભાગ હતી.





