ભારતીય ઝડપી બોલર જસપ્રિત બુમરાહ અને બેટ્સમેન શ્રેયસ અય્યર હવે ટીમમાં વાપસીના માર્ગે છે. બંને ખેલાડીઓ પોતપોતાની પીઠની ઇજાઓ સાથે સંઘર્ષ કરી રહ્યા હતા.સર્જરી પછી, નેશનલ ક્રિકેટ એકેડમી માં ચાલી રહેલા પુનર્વસનને કારણે બંને ભારતીય ખેલાડીઓ તેમની ફિટનેસની નજીક આવી રહ્યા છે. આવી સ્થિતિમાં આ બંને માટે વેસ્ટ ઈન્ડિઝ સામે રમાનારી શ્રેણીમાં વાપસી કરવી મુશ્કેલ લાગી રહી છે, પરંતુ એશિયા કપ 2023માં બુમરાહ અને શ્રેયસ અય્યરની વાપસી નિશ્ચિત માનવામાં આવી રહી છે.
‘ESPNcricinfo’ અનુસાર, નેશનલ ક્રિકેટ એકેડમીનો મેડિકલ સ્ટાફ બુમરાહ અને શ્રેયસ ઐયર બંનેના સ્વસ્થ થવાથી ખુશ છે. આવી સ્થિતિમાં, 31 ઓગસ્ટથી યોજાનાર એશિયા કપમાં આ બંનેની વાપસીને લઈને ઘણી અપેક્ષાઓ રાખવામાં આવી રહી છે.
બુમરાહે છેલ્લી મેચ સપ્ટેમ્બર 2022માં રમી હતી
ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે તેની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ સપ્ટેમ્બર 2022માં ઓસ્ટ્રેલિયા સામે T20 ઈન્ટરનેશનલ તરીકે રમી હતી. આ પછી, તેણે આ વર્ષે માર્ચમાં ન્યુઝીલેન્ડમાં પીઠની સર્જરી કરાવી હતી. અહેવાલો અનુસાર, બુમરાહ મુખ્યત્વે ફિઝિયોથેરાપી કરી રહ્યો છે, પરંતુ તાજેતરમાં તેણે લાઇટ બોલિંગ પણ શરૂ કરી છે. ધીમે ધીમે તેના બોલિંગનો વર્કલોડ વધતો જશે.
અય્યરને બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં ઈજા થઈ હતી
શ્રેયસ આ વર્ષે ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ રમાયેલી બોર્ડર-ગાવસ્કર ટ્રોફીથી ટીમની બહાર હતો. અય્યર પીઠના નીચેના ભાગમાં ઈજા થઈ હતી, જેના કારણે તેને બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની છેલ્લી ટેસ્ટ મેચમાંથી બહાર થવું પડ્યું હતું. ત્યારબાદ મે મહિનામાં અય્યરની લંડનમાં સર્જરી થઈ હતી. રિપોર્ટ્સ અનુસાર, તે હાલમાં ફિઝિયોથેરાપી કરાવી રહ્યો છે.
અય્યર અને બુમરાહની વાપસીથી ટીમ ઈન્ડિયાને ઘણો ફાયદો થશે
ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ અને બેટ્સમેન શ્રેયસની વાપસીથી ટીમ ઈન્ડિયાને ઘણો ફાયદો થશે. એશિયા કપ બાદ ODI વર્લ્ડ કપ ભારતમાં જ રમાવાનો છે. આવી સ્થિતિમાં, બંને ખેલાડીઓ મેગા ટૂર્નામેન્ટમાં ટીમ માટે ખૂબ અસરકારક સાબિત થઈ શકે છે.




