Modi Government: મોદી સરકારે ગરીબ વર્ગ માટે ઘણાં પગલાં લીધાં છે. આ ઉપરાંત દરેક ક્ષેત્રના લોકો માટે મોદી સરકાર દ્વારા સમયાંતરે અનેક યોજનાઓ પણ લાવવામાં આવી છે. જેમાં મજૂર વર્ગનો પણ સમાવેશ થાય છે. મોદી સરકાર દ્વારા મજૂરો માટે પણ ઘણી રાહતો આપવામાં આવી છે. આ અંગે કેન્દ્રીય શ્રમ મંત્રી ભૂપેન્દ્ર યાદવે જણાવ્યું છે કે, મોદી સરકારમાં શ્રમ ક્ષેત્રમાં ભેદભાવ દૂર કરવાના પ્રયાસો કરવામાં આવ્યા છે.
ભેદભાવ ખતમ કરવાનો પ્રયાસ
શ્રમ ક્ષેત્રમાં ભેદભાવને સમાપ્ત કરવા માટે લેવામાં આવેલા પગલાઓનો ઉલ્લેખ કરતા કેન્દ્રીય શ્રમ મંત્રી ભૂપેન્દ્ર યાદવે જણાવ્યું છે કે, સરકાર અસંગઠિત ક્ષેત્રના કર્મચારીઓને પણ લાભ આપવાનો પ્રયાસ કરી રહી છે. ગુરુવારે શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા નિવેદન મુજબ, શ્રમ મંત્રીએ બુધવારે જિનીવામાં ‘સામાજિક ન્યાયને પ્રોત્સાહન’ પર એક કોન્ફરન્સમાં આ વાત કહી હતી.
મોદી સરકાર દ્વારા લેવામાં આવ્યા પગલાં
નિવેદન મુજબ, મંત્રીએ શ્રમ બજારોમાં ભેદભાવને દૂર કરવા માટે સરકારના સામાજિક ન્યાય-પ્રોત્સાહન આપતા કાર્યક્રમો પર પ્રકાશ નાખ્યો. તેમણે શ્રમ બજારોમાં ભેદભાવને દૂર કરવા વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની સરકાર દ્વારા લેવામાં આવેલા પગલાં વિશે માહિતી આપી હતી. યાદવે જણાવ્યું હતું કે, ભારત અસંગઠિત ક્ષેત્રના કામદારોને પણ સામાજિક સુરક્ષાના લાભો પહોંચાડવાના પ્રયાસો કરી રહ્યું છે.
ઈ શ્રમ પોર્ટલ પર અનેક સુવિધાઓ
તેમણે કહ્યું કે સરકારનું ઈ-શ્રમ પોર્ટલ તમામને સામાજિક સુરક્ષા પ્રદાન કરવાની દિશામાં એક પગલું છે. તેમણે જણાવ્યું કે, સરકાર આ માટે કૌશલ્ય વિકાસ, કૌશલ્ય અપગ્રેડેશન અને કર્મચારીઓનું રિસ્કિલિંગ પણ કરી રહી છે.
ઉલ્લેખનીય છે કે, હાલ દેશમાં મજૂરોની મોટી સંખ્યા છે. આ લોકો રોજ કામ કરી પોતાનું અને પોતાના પરિવારનું પેટ ભરે છે. આ લોકોની સામાજિક જવાબદારી કેન્દ્ર સરકારે લીધી છે. સરકાર તેમના માટે અનેક સ્કીમો લઈને આવી છે.






