રિલાયન્સે હવે વધુ એક મોટો નિર્ણય લીધો છે. જો તમારી પાસે પણ રિલાયન્સ કંપનીના શેર છે તો તમને તેનાથી મોટો ફાયદો થવાનો છે. ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની પુત્રી ઈશા અંબાણી અને ભૂતપૂર્વ કોમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલ (CAG) રાજીવ મેહર્ષિને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL)થી અલગ થયેલી નાણાકીય સેવા કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં સામેલ કરવામાં આવ્યા છે. આ અંગેની માહિતી કંપની દ્વારા આપવામાં આવી છે.
રિલાયન્સે પહેલાથી જ તેના નાણાકીય સેવાઓના સાહસને રિલાયન્સ સ્ટ્રેટેજિક ઇન્વેસ્ટમેન્ટ્સ લિમિટેડ (RSIL)માં ડિમર્જરની જાહેરાત કરી હતી અને તેનું નામ બદલીને Jio Financial Services Limited (JFSL) તરીકે સૂચિબદ્ધ કર્યું હતું. મીડિયા અહેવાલ મુજબ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરધારકોને દરેક એક શેર માટે Jio ફાયનાન્સિયલ સર્વિસનો એક શેર આપવામાં આવશે. ડિમર્જરની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જિયો ફાઇનાન્શિયલને ભારતીય સ્ટોક એક્સચેન્જ BSE અને NSE પર લિસ્ટેડ કરાવવાની પ્રક્રિયા શરૂ થશે.
20 જુલાઈના રોજ મળી શકે છે નવી ફર્મના શેર
કંપનીએ શેરબજારને આપેલી માહિતીમાં જણાવ્યું હતું કે 1 જુલાઈ કંપનીને અલગ કરવાની અસરકારક તારીખ તરીકે નક્કી કરવામાં આવી છે, જ્યારે 20 જુલાઈને નવી કંપનીના શેર ફાળવવાની તારીખ તરીકે નક્કી કરવામાં આવી છે. એટલે કે જે લોકો પાસે રિલાયન્સના શેર છે તેમને પણ નવી ફર્મના શેર મળી શકે છે.
નવા ડિરેક્ટરોની નિમણૂક માટે મંજૂરી
7 જુલાઈએ મળેલી નવી કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સની બેઠકમાં નવા ડિરેક્ટરોની નિમણૂકને મંજૂરી આપવામાં આવી હતી. ઈશા મુકેશ અંબાણીની નોન એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી છે. રિલાયન્સના એક્ઝિક્યુટિવ ઓફિસર અંશુમન ઠાકુરને પણ નોન એક્ઝિક્યુટિવ ડિરેક્ટર બનાવવામાં આવ્યા છે. કંપનીએ જણાવ્યું હતું કે, રાજીવ મેહર્ષિ, જેઓ ગૃહ સચિવ અને CAG હતા, તેમને પાંચ વર્ષ માટે RSILમાં સ્વતંત્ર ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
કંપની કઈ સુવિધાઓ આપશે?
તમને જણાવી દઈએ કે આ કંપની પ્રોપર્ટી ડેટાના વિશ્લેષણના આધારે ગ્રાહકો અને બિઝનેસમેનને લોનની સુવિધા આપશે. આ સાથે, વીમા, ચુકવણી, ડિજિટલ બ્રોકિંગ અને એસેટ મેનેજમેન્ટની સેવાઓ પણ પ્રદાન કરશે.






