આણંદના સમારખા ગામે શુક્રવારે મુસ્લિમ યુવકો દ્વારા કલ્પેશભાઈ ચૌહાણ નામના યુવક પર હુમલો કરી માર મારી ગંભીર ઈજા પહોંચાડી હતી ઘટનાને પગલે ઈજાગ્રસ્ત યુવકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો છે જ્યારે બીજી તરફ મોટી સંખ્યામાં લોકોના ટોળા એકઠા થઈ જતા ભરેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ હતી.
ઘટનાની જાણ પોલીસને થતાં જિલ્લા પોલીસવડા, DySP, SOG સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને મોટી સંખ્યામાં પોલીસ તૈનાત કરી દેવામાં આવી છે. હાલ ગામ સંપૂર્ણપણે પોલીસ છાવણીમાં તબ્દીલ થયું છે અને સમગ્ર સ્થિતિ પોલીસના કંટ્રોલમાં છે.
મળતી વિગતો અનુસાર સમારખા ગામે મહાકાળી ચોક માતાજીના મંદિર પાસે ઘટના બની હતી જે અંગે પોલીસ તપાસ કરી રહી છે અને આ મામલે ફરિયાદ નોંધવાની કાર્યવાહી શરૂ કરી દીધી છે. પોલીસે સમયસર પહોંચી સ્થિતિ કાબુમાં કરી લીધી છે. જ્યારે રેલી બાબતે બબાલ થઈ હોવાની લોક ચર્ચા થઈ રહી છે.
આ મામલે પોલીસ અધિકારીએ જણાવ્યું કે, 8 વાગ્યાના સુમારે આ ઘટના બની હતી. કલ્પેશભાઈ મહેશભાઈ ચૌહાણ સામરકાથી ગોરખપુરા તરફ જતાં હતા ત્યારે મુસ્લિમ સમાજના છોકરાઓએ અગમ્ય કારણસર બેટ વડે માર મારેલ. ઘટનાને લીધે લોકોના ટોળા ભેગા થયા હતા. પોલીસને જાણ થતાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી જોઈ બંદોબસ્ત ગોઠવી હાલમાં પેટ્રોલિંગ શરૂ છે. ઈજાગ્રસ્ત નગરપાલિકા હોસ્પિટલ આણંદ ખાતે સારવાર હેઠળ છે. તેમની ફરિયાદ લેવાની તજવીજ શરૂ કરી દેવાઈ છે. બનાવના પ્રત્યાઘાત રૂપે કોઈ અનિચ્છનિય બનાવના બને તે માટે પુરતો બંદોબસ્ત ગોઠવવામાં આવેલ છે અને હાલમાં શાંતિ છે.






