ચંદ્રયાન-3ની ડિઝાઈન સુરતના વૈજ્ઞાનિક મિતુલ ત્રિવેદીએ બનાવી હોવાના સમાચાર વાયરલ થઈ રહ્યા છે, જો કે આ શખ્સ ઈસરો સાથે જોડાયેલા છે કે કેમ આ અંગે જ સવાલો ઉઠી રહ્યા છે. સૂત્રોના હવાલેથી કેટલાક મીડિયા અહેવાલોમાં પ્રકાશિત થયેલી વિગતો પ્રમાણે મિતુલ ત્રિવેદી નામનો કોઈ વ્યક્તિ ઈસરો સાથે સંકળાયેલો નથી. ચંદ્રયાન-3માં કામ કરવા અંગે મિતુલ ત્રિવેદી પાસે શું સાબિતી છે તેવા પ્રશ્નો વહેતા થતાં ભારે વિવાદ સર્જાયો હતો. જેને લઈને 25 ઓગષ્ટે તેઓ સુરત પોલીસ કમિશનર કચેરીએ આવ્યાં હતાં. જો કે, અંદર કમિશરને કે કોઈ અધિકારીને મળ્યા વગર માત્ર મીડિયાથી ઘેરાઈ જતાં એટલું જ બોલ્યાં કે ISRO સાથેનો કોન્ટ્રાક્ટ લેટર અને તે સહિતના ડોક્યુમેન્ટ જમા કરાવવા આવ્યો હતો.
પત્ની સાથે કારમાં પોલીસ કમિશનર કચેરીએ આવેલા મિતુલ ત્રિવેદીએ મીડિયાના એક પણ સવાલનો જવાબ આપ્યા વગર માત્ર ડોક્યુમેન્ટ જમા કરાવવા આવ્યો હોવાનું એક જ વાક્ય બોલ્યા હતાં. જો કે, મીડિયા સામે ક્યા ડોક્યુમેન્ટ જમા કરાવવા આવ્યા છે. તે સહિતની કોઈ જ બાબત જાહેર કરી નહોતી કે ડોક્યુમેન્ટ દેખાડ્યાં નહોતા. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ સુરત પોલીસ કમિશનર કચેરીએ આવેલા મિતુલ ત્રિવેદીએ પોલીસને ISRO સાથેનો કોન્ટ્રાકટ લેટર સહિતના ડોક્યુમેન્ટ જમા કરાવ્યાં છે. હવે સુરત પોલીસ મિતુલના ડોક્યુમેન્ટનું વેરિફિકેશન કરશે, આ માટે ISROને ઈમેલ પણ કરવામાં આવશે.
23 ઓગસ્ટે ચંદ્રયાન-3ના સફળ લેન્ડિગ બાદ સુરતનો મિતુલ ત્રિવેદી ચર્ચામાં હતો કારણ કે તેણે દાવો કર્યો હતો કે, ચંદ્રયાન-3ની ડિઝાઈન તેણે જ બનાવી છે. આટલું જ નહીં મિતુલ અને તેના શિક્ષકની એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી, આથી બધાને એવું લાગ્યું કે તેણે જ ચંદ્રયાન-3ની ડિઝાઈન બનાવી છે. આ ઓડિયો ક્લિપમાં મિતુલ તેમના શિક્ષકને જણાવી રહ્યા છે કે, ચંદ્રયાનની મારી બનાવેલી ડિઝાઈનના કારણે ચંદ્ર પર લેન્ડિંગ દરમિયાન ઘણી ઓછી ધૂળ ઉડી. પરંતુ અહીં સૌથી મોટો સવાલ એ થયો કે, ચંદ્ર પર તો વાતાવરણ એટલે કે હવા જ નથી તો ધૂળ ઉડે તો પણ કેવી રીતે ઉડે?
આ અંગે ISROના પૂર્વ સ્પેસ સાયન્ટિસ્ટ ચિંતન ભટ્ટ સાથે વાતચિત કરી જાણવાનો પ્રયાસ કરતા તેમણે જણાવ્યું હતું, “પહેલા તો હું તમને જણાવી દઉં કે આ વાતમાં મને કોઈ ઑથેન્ટિક હોય એવું લાગતું નથી. તેમણે જણાવ્યું હતું, “ધૂળની ડમરીઓ ઉછળવા પાછળ શક્યતાઓ એટલા માટે હોય કારણ કે, પ્રોપલેન્ટ ખૂબ જ ફોર્સથી હવા છોડતા હોય છે જેના કારણે ધૂળ ઉડી શકે. ધૂળ ઉડે ખરી એ વાત સાચી, વાતાવરણ નથી એટલે એની જાતે જાતે કશું ન થાય, પણ ફોર્સથી જે અગ્નિ આવતું હોય એના લીધે ઉડી શકે.”





