મોંઘવારીમાં રાહત આપતા કેન્દ્ર સરકારે સામાન્ય લોકો માટે એલપીજી સિલિન્ડરની કિંમતમાં 200 રૂપિયાનો ઘટાડો કર્યો છે. જ્યારે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓ માટે LPG સિલિન્ડરની કિંમતમાં 400 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે આવી સ્થિતિમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થવાની સંભાવના વધી ગઈ છે.
સિટીગ્રુપ ઇન્ક. અનુસાર, રાંધણ ગેસના ભાવમાં ઘટાડો કરવાના ભારતના પગલાથી ફુગાવો ઘટી શકે છે અને કેટલાક મોટા તહેવારો અને મુખ્ય ચૂંટણીઓ પહેલા પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટાડવા પર ધ્યાન કેન્દ્રિત કરી શકાય છે. ત્યારે ગેસના ભાવ ઘટાડવાના નિર્ણયથી ફુગાવાના દરમાં 30 બેસિસ પોઈન્ટ્સનો ઘટાડો થઈ શકે છે. આ સિવાય સપ્ટેમ્બરમાં ટામેટાના ભાવમાં ઘટાડાથી મોંઘવારીનો વધારો 6 ટકાથી નીચે જવાનો છે. જુલાઈમાં ફુગાવો 15 મહિનાની ટોચે પહોંચ્યો હતો અને અધિકારીઓ છૂટક કિંમતો ઘટાડવા માટે સક્રિય પગલાં લઈ રહ્યા છે.
ભારત સરકાર ખાદ્યપદાર્થોના ભાવમાં ઘટાડો કરીને સામાન્ય લોકોને મોંઘવારીમાંથી રાહત આપવાનો પ્રયાસ કરી રહી છે. છેલ્લા કેટલાક દિવસોમાં, સરકારે ચોખા, ઘઉં, ડુંગળી અને અન્ય અનાજની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે, જેથી કરીને વધતી કિંમતોથી રાહત મળી શકે.
વર્ષના અંતે પાંચ રાજ્યોમાં ચૂંટણી છે આ વર્ષના છેલ્લા ક્વાર્ટરમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢ સહિત ઓછામાં ઓછા પાંચ રાજ્યોમાં ચૂંટણી યોજાવાની છે. આ પછી 2024ની શરૂઆતમાં રાષ્ટ્રીય ચૂંટણી યોજાશે. ત્યારે આગામી સમયમાં તિજોરીમાંથી વધુ નાણાં ખર્ચવામાં આવી શકે છે. આગામી સમયમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થઈ શકે છે.