સાળંગપુર મંદિરમાં હનુમાનજીના ભીંતચિત્રોનો વિવાદ વકર્યો છે. વિવાદિત ભીંતચિત્રોને લઈને સાધુ-સંતો, મહંતો, ભક્તો અને હિન્દુ સંગઠનોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. સાળંગપુર મંદિરમાં હનુમાનજીના ભીંતચિત્ર વિવાદમાં વધુ એક વિવાદ સામે આવ્યો છે. મંદિર પરિસરના સિક્યુરિટી ગાર્ડ ભૂપત ખાચરે વીડિયો જાહેર કરીને ચોંકાવનારો ખુલાસો કર્યો છે. ભૂપત ખાચરના વીડિયોને લઈને ભારે ખળભળાટ મચી ગયો છે.
બે દિવસ અગાઉ કિંગ ઓફ સાળંગપુરની પ્રતિમા નીચે કંડારવામાં આવેલા ભીંતચિત્રો પર ચારણકી ગામના હર્ષદ ગઢવી નામના શખ્સે કાળો કલર કર્યો હતો અને તોડફોડ કરી હતી. જે બાદ પોલીસ દ્વારા હર્ષદ ગઢવીની ધરપકડ કરવામાં આવી હતી. સાળંગપુર હનુમાનજી મંદિરે ભીંતચિત્રો પર કાળો કલર મારવાના મામલે ત્રણ શખ્સો હર્ષદ ગઢવી, જેસિંગ ભરવાડ અને બળદેવ ભરવાડ વિરૂદ્ધ મોડીરાત્રે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. આ ત્રણેય સામે સેથળી ગામના અને મંદિરના સિક્યોરિટી ગાર્ડ ભૂપત સાદુળભાઈ ખાચરે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
સાળંગપુરમાં ભીંતચિત્રો પર કાળો કલર લગાવનાર સામેના કેસમાં ફરિયાદી બનેલા મંદિર પરિસરના સિક્યુરિટી ગાર્ડ ભૂપત ખાચરે વીડિયો વાયરલ કર્યો છે. જેમાં તેઓ જણાવે છે કે, બે દિવસ પહેલાં હર્ષદભાઈ ગઢવીનો બનાવ બનેલો ત્યાં મારો સિક્યોરિટીનો પોઈન્ટ હતો, ત્યારબાદ મંદિરના ઓફિસમાં બોલાવીને પૂછપરછ કરવામાં આવી હતી. જે બાદ મારી પાસે એક સહીં લેવામાં આવી હતી.’ તેઓએ કહ્યું કે, ‘જે બાદ સાંજે હું નોકરી પૂરી કરીને ઘરે ગયો, સવારે મને સોશિયલ મીડિયાના માધ્યમથી જાણવા મળ્યું કે આ કેસમાં મને ફરિયાદી બનાવવામાં આવ્યો છે. હું ચારણ સમાજ અને અન્ય સમાજને જણાવવા માગું છું કે મને મારી જાણ બહાર આ કેસમાં ફરિયાદી તરીકે ઉમેરવામાં આવ્યો છે. આમાં હું કંઈ જાણ તો નથી, હું નિર્દોષ છું.’



