સાળંગપુર મંદિરમાં હનુમાનજીની પ્રતિમા નીચેના વિવાદિત ભીંતચિત્રો હટાવી લેવામાં આવ્યા છે. બીજી તરફ લીંબડીમાં સનાતન ધર્મના સાધુ-સંતોની આજે બેઠક મળી છે. સાધુ-સંતો અને મહંતોનું મહાસંમેલન લીંબડીના પાર્ટી પ્લોટ ખાતે મળ્યું છે. જેમાં દેશ સહિત રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં સંતો, મહંતો સહિત અલગ અલગ ધાર્મિક જગ્યાના મહામંડલેશ્વરો મોટી સંખ્યામાં સંમેલનમાં હાજરી આપી છે. સાળંગપુર હનુમાનજી મૂર્તિ વિવાદનો અંત આવ્યો હોવા છતાં મહાસંમેલનમાં સ્વામીનારાયણ સંપ્રદાયના સંતોની અન્ય ધર્મો વિશે માનસિકતા અને અપમાનજનક નિવેદનો અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી રહી છે.
આ સંમેલનમાં જ્યોર્તિનાથજી મહારાજ, દિલીપદાસજી મહારાજ, ઋષી ભારતીબાપુ, લલિત કિશોર દાસજી, ગંગા દાસજી, રોકડીયાનાથ બાપુ, શેરનાથ બાપુ, દુર્ગા દાસબાપુ, રામેશ્વર હરિયાણી બાપુ સહિતના મહામંડલેશ્વર અને સંતોની હાજરી છે. આ ઉપરાંત ટ્રસ્ટ, NGO,સંગઠન અને જ્ઞાતિ આગેવાનો સહિત 2 હજારથી વધુ લોકો સંમેલનમાં ઉપસ્થિત રહ્યા છે.
લીંબડીમાં સૌરાષ્ટ્ર નિમ્બાર્ક પી. ખાતે મળેલી સંતોની બેઠકમાં 14 ઠરાવ પસાર ઉપર ચર્ચા કરવામાં આવી
1. સહજાનંદ સ્વામી આગળ સર્વોપરી શબ્દ લગાડવો નહીં સર્વોપરી કઈ રીતે તેનો ખૂલાસો માંગવો.
2. સ્વામીનારાયણ સંપ્રદાય દ્વારા સનાતન-ધર્મના 125 કરોડ ભાવિક ભક્તોની ધાર્મિક લાગણી દુભાવવાનું દુષ્કૃત્ય કરવામાં આવ્યું છે.
3. સ્વામીનારાયણ સંપ્રદાયના સંતો ભકતો સહજાનંદ સ્વામીને પોતાના ઈષ્ટદેવ માનતા હોઈ સ્વામીનારાયણ મંદિરમાં કોઈપણ જગ્યાએ સનાતનધર્મના દેવી-દેવતાઓનું સ્થાપન ન કરવું જોઈએ.
4. સ્વામિનારાયણ સંપ્રદાયના શાસ્ત્રોમાં જ્યાં જ્યાં સનાતનધર્મના દેવી- દેવતાઓને નીચે દેખાડવાનો પ્રયાસ થયો છે તે તમામ ભાગ કાયમી ધોરણે દૂર કરવા.
5. સનાતનધર્મના દેવી-દેવતાઓને જ્યાં જ્યાં નીચે દેખાડી સહજાનંદ સ્વામીને સર્વોપરી સિદ્ધ કરવાનો હીન પ્રયાસ થયો છે તેવા ચિત્રો કે મૂર્તિઓ સ્વામિનારાયણ સંપ્રદાયના તમામ મંદિરોમાંથી દૂર કરવા.
6. સનાતનધર્મના નામે કોઈપણ સંસ્થામાં સ્વામીનારાયણ સંપ્રદાયના સંતો હોદ્દા ઉપર હોય તો તેઓને તે હોદ્દા ઉપરથી રાજીનામાં લઈ જે તે હોદ્દા ઉપરથી બરખાસ્ત કરવા.
7. સનાતનધર્મના સંતો ખોટા છે અને સ્વામીનારાયણ સંપ્રદાયના સંતોમાં છે એવું કહી સનાતનધર્મની લીટી ભુંસી પોતાની લીટી મોટી કરવાના પ્રયાસો ક્યારે ન કરવા.
8. સનાતનધર્મની જે જગ્યા સ્વામીનારાયણના સંતોએ કબ્જે કરેલી હોય તે જગ્યા ખાલી કરાવી શ્રીસરકારને પરત કરવી અથવા સનાતનધર્મની સંસ્થાને સોંપવી.
9. સનાતન હિન્દુ દેવી-દેવતાઓ ઉપર સ્વામીનારાયણ સંપ્રદાયનું તિલક લગાવવું નહીં.
10. સ્વામીનારાયણ મંદીર કે મ્યુઝીયમાં ચિત્ર પ્રદર્શની કે વીડિયો ફીલ્મમાં ક્યાંય હિન્દુ સનાતની દેવી-દેવતા (શ્રીરામ, કૃષ્ણ, દેવીમાં, હનુમાનજી, શિવ પાર્વતીના )ના અપમાનજનક ચિત્રો કે ફિલ્મ બનાવવી નહીં.






