મધ્યપ્રદેશની મહાકાળ નગરી ઉજ્જૈનમાં 12 વર્ષની બાળકી પર જઘન્ય બળાત્કારની ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી દીધો છે. પોલીસે આ મામલે નરાધમની ધરપકડ પણ કરી લીધી છે. ત્યારે આ સ્થિતિ વચ્ચે રેપ કેસમાં ધરપકડ કરાયેલા આરોપીના પિતાએ મોટું નિવેદન આપ્યું છે. વૃદ્ધ પિતાએ કહ્યું કે, જો દીકરો ખરેખર આરોપી છે તો તેને પકડવો ન જોઈએ, તેને સીધી ગોળી મારવી દેવી જોઈતી હતી. જો મારા પુત્રની જગ્યાએ મેં આવો ગુનો કર્યો હોત તો મેં આત્મહત્યા કરી લીધી હોત.
આરોપી ભરત સોનીના પિતા રાજુ સોનીએ કહ્યું કે, પોલીસે તેમના પુત્રની ધરપકડ કરી પોલીસ સ્ટેશન કેમ લઈ ગઈ? તેને ગોળી મારી દેવી જોઈતી હતી. જો એ પીડિતાની જગ્યાએ મારી દીકરી હોત તો હું પણ એ જ ઈચ્છા રાખત. જે પણ લોકો આ પ્રકારનો ગુનો કરે છે તેને જીવવાનો અધિકાર નથી.
આ જઘન્ય અને ચિંતાજનક ઘટના અંગે, આરોપીના પિતાએ વધુમાં કહ્યું કે તેઓ બાળકી પર બળાત્કારની ઘટના વિશે જાણતા હતા. મેં મારા પુત્ર સાથે ચર્ચા કરી હતી કે, ઉજ્જૈન શહેરમાં એક બાળકી સાથે કંઈક ખોટું થયું છે, પરંતુ તેણે કંઈ કહ્યું નહીં. તેણે કોઈને શંકા પણ ન થવા દીધી. તેમજ વધુમાં કહ્યું કે, પુત્ર મારો હોય કે બીજાનો, આવા ગુનો કરનારને ફાંસી અથવા ગોળી મારી દેવી જોઈએ. અમે શરમના કારણે બહાર જઈ શકતા નથી. હું શું કરું? હું કંઈપણ સમજવા માટે સક્ષમ નથી.





