અસામાન્ય ચોમાસામાં ખાંડના ઉત્પાદનમાં ઘટાડો અને તહેવારોની સીઝનમાં માગમાં વધારાના કારણે કેન્દ્ર સરકાર ખાંડની નિકાસ પર કેટલાક નિયંત્રણો લાદવાની તૈયારી કરી રહી છે. 1 ઓક્ટોબરથી શરૂ થતી નવી ખાંડની સિઝન દરમિયાન ખાંડની નિકાસ પર પ્રતિબંધ મૂકવામાં આવી શકે છે. તહેવારોની સિઝનમાં ખાંડના ભાવમાં વધારો થવાને કારણે સરકાર ખાંડની નિકાસ પર પ્રતિબંધ મૂકવાના આદેશ જારી કરે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.
સરકારે ખાંડ કંપનીઓને ખાંડના ભાવમાં વધારો થયા બાદ 10 ઓક્ટોબર 2023 સુધીમાં ઉત્પાદન, ડીલર, ડિસ્પેચ, રિટેલર અને વેચાણનો સંપૂર્ણ ડેટા આપવાનો આદેશ આપ્યો છે. સરકારે ખાંડ મિલ માલિકોને 10 નવેમ્બર સુધીમાં NSWS પોર્ટલ પર આ અંગે નોંધણી કરાવવા માટે પણ જણાવ્યું છે. સરકારી ડેટા અનુસાર, 1 જાન્યુઆરી, 2023 એ ખાંડ રૂ. 41.45 પ્રતિ કિલોના ભાવે ઉપલબ્ધ હતી, જેની કિંમત 10 ઓક્ટોબર, 2023ના રોજ વધીને રૂ. 43.84 પ્રતિ કિલો થઈ ગઈ છે.
અગાઉ, ખાંડના ભાવમાં વધારો થયા પછી, સરકારે જથ્થાબંધ વેપારીઓ, છૂટક વિક્રેતાઓ, વેપારીઓ, મોટા ચેન છૂટક વિક્રેતાઓ અને પ્રોસેસર્સ માટે ભાવ પર નિયંત્રણ રાખવા અને સંગ્રહખોરીને રોકવા માટે દર અઠવાડિયે ખાંડનો સ્ટોક જાહેર કરવાનું ફરજિયાત બનાવ્યું છે. આ વેપારીઓએ દર સોમવારે પોર્ટલ https://esugar.nic.in પર જઈને ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગને તેમના ખાંડના સ્ટોક વિશે જાણ કરવાની રહેશે.