કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી શકે છે. અસદુદ્દીન ઓવૈસીની પાર્ટીના એક નેતા રાહુલથી નારાજ છે. નારાજગીનું કારણ એક કૂતરાનું બચ્ચું છે. AIMIM નેતાએ રાહુલ ગાંધી વિરુદ્ધ કોર્ટમાં કેસ દાખલ કર્યો છે. કોર્ટમાં કેસ દાખલ કરનાર ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસ્લિમીનના નેતાનું નામ મોહમ્મદ ફરહાન છે.
હાલમાં જ રાહુલ ગાંધીએ તેમની માતા સોનિયા ગાંધીને ‘નૂરી’ નામનો કૂતરો ભેટમાં આપ્યો હતો. રાહુલ ગાંધીએ વર્લ્ડ એનિમલ ડે પર આ કૂતરો તેમની માતાને ગિફ્ટ કર્યો હતો અને તેનો વીડિયો પણ શેર કર્યો હતો. હવે AIMIM મોહમ્મદ ફરહાને કૂતરાનું નામ ‘નૂરી’ રાખવા પર નારાજગી વ્યક્ત કરી છે અને રાહુલ ગાંધી પર ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ લગાવ્યો છે. મોહમ્મદ ફરહાને પોતાની અરજીમાં કહ્યું છે કે કૂતરાના નામને કારણે તેમની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચી છે. ‘નૂરી’ શબ્દ ખાસ કરીને ઇસ્લામ સાથે સંબંધિત છે અને કુરાનમાં પણ તેનો ઉલ્લેખ છે. ફરહાન કહે છે કે તેમણે રાહુલને નામ બદલવા અને માફી માંગવા કહ્યું, પરંતુ રાહુલ ગાંધીએ તેમ કર્યું નહીં.
આ મામલે AIMIM નેતાના વકીલનું કહેવું છે કે આવું કરીને રાહુલ ગાંધીએ અમારા સમાજની મહિલાઓ, વડીલો અને ખાસ કરીને અમારા પયગંબરનું અપમાન કર્યું છે. ઇસ્લામના આગમનથી, કોઈપણ મુસ્લિમ પરિવારે પ્રાણીનું નામ ‘નૂરી’ રાખ્યું નથી. વકીલે કહ્યું છે કે કોર્ટે ફરહાનને 8 નવેમ્બરે તેમનુ નિવેદન નોંધવા માટે બોલાવ્યા હતા. તેમણે કહ્યું કે ફરિયાદ પર વિચાર કર્યા બાદ કોર્ટ રાહુલ ગાંધીને સમન્સ આપી શકે છે.