સુરતમાં રહેતા મહિલા અને તેમના દીકરા-દીકરી ઉપર તેના પૂર્વ પતિ તેની પત્ની સહિત ત્રણ શખ્સે લાકડી અને ધારિયા વડે હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા મહિલાએ તેના પૂર્વ પતિ સહિત ત્રણ વિરુદ્ધ બોરતળાવ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
આ બનાવ અંગે પ્રાપ્ત વિગત મુજબ સુરતના કતારગામથી વેડરોડ પર આવેલ વિરામનગર વિભાગ-૧ માં રહેતા હંસાબહેન માવજીભાઈ રાઠોડના લગ્ન ૩૦ વર્ષ પહેલા ગારીયાધાર તાલુકાના ગણેશગઢ ગામમાં રહેતા કનુભાઈ મનુભાઈ સોલંકી સાથે થયા હતા અને બંને વચ્ચે પણ બનાવ થતા ૨૦ વર્ષ પહેલા બંનેના છૂટાછેડા થયા હતા.
ગઈકાલે સવારે હંસાબહેન તેમનો દીકરો મનીષ તેમના પત્ની પાયલબહેન તથા દીકરી મયુરીબહેન સાથે સુરતથી નીકળી ભાવનગર આવ્યા હતા અને ફુલસર ગામમાં રહેતા તેના પૂર્વ પતિ કનુભાઈ મનુભાઈ સોલંકીના ઘરે ગયા હતા અને તેમની દીકરીના સમૂહ લગ્ન કરાવેલ હોય જ્યાંથી આવેલ ઘરેણા અને પૈસાની માંગણી કરતા બોલાચાલી થઈ હતી તે દરમિયાન કનુભાઈના બહેનનો દીકરો પ્રદીપ પ્રવીણભાઈ વાઢેર આવી જતા તેણે ગાળો આપી હતી. પ્રદીપને ગાળો બોલવાની ના કહેતા તેણે હંસાબહેન અને તેના પુત્ર મનીષભાઈ ઉપર લાકડી વડે હુમલો કર્યો હતો. દરમિયાન હંસાબેનના દીકરી મયુરીબહેન વચ્ચે પડતા પ્રદીપ એ ધારિયાનો એક ઘા મયુરીબહેનને મારી દીધો હતો.
આ વખતે કનુભાઈના નવા પત્ની આશાબેન પણ આવી ગયા હતા અને જેમ ફાવે તેમ ગાળો આપી હતી દરમિયાન આજુબાજુના લોકોએ ભેગા થઈ જતા શખ્સોએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને તમારા વિરુદ્ધ ખોટી ફરિયાદ કરીને હેરાન કરી નાખીશું તેમ જણાવ્યું હતું. આ બનાવમાં મયુરીબેનને ઇજા થતાં તેમને સારવાર અર્થે સર ટી. હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
આ બનાવ અંગે હંસાબહેન રાઠોડ એ તેના પૂર્વ પતિ કનુભાઈ મનુભાઈ સોલંકી તેમના પત્ની આશાબહેન અને પ્રદીપ પ્રવીણભાઈ વાઢેર વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા બોરતળાવ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.