કેન્દ્રીય મંત્રી પ્રહલાદ પટેલને મંગળવારે માર્ગ અકસ્માત નડ્યો છે. જો કે તેઓનો બચાવ થયો હતો. તેમને સામાન્ય ઈજા થઈ છે પરંતુ આ ઘટનામાં ગાડી સાથે અથડાનાર 35 વર્ષીય બાઇક સવારનું મોત થયું છે. આ સિવાય અન્ય ત્રણ લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. કેન્દ્રીય મંત્રી પ્રહલાદ પટેલનો કાફલો છિંદવાડાથી નરસિંહપુર તરફ જઈ રહ્યો હતો. આ દરમિયાન સામેથી આવતા બાઇક સવારને બચાવવા જતાં તેમનું વાહન રોડ પરથી ઉતરી ગયું હતું, જેના કારણે આ અકસ્માત થયો હતો. આ ઘટનામાં બાઇક સવાર યુવકનું મોત થયું છે.
કેન્દ્રીય મંત્રી મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે છિંદવાડામાં પ્રચાર કરી રહ્યા હતા. તેઓ છિંદવાડામાં જનસંપર્ક અભિયાન કરીને નરસિંહપુર પરત ફરી રહ્યા હતા ત્યારે રસ્તામાં આ અકસ્માત થયો હતો. પ્રહલાદ પટેલ નરસિંહપુરથી ઉમેદવાર પણ છે.