માત્ર એક સભ્યથી ચાલતા ગુજરાતના OBC કમિશનની કામગીરી અંગે હાઈકોર્ટે સરકાર પાસે ખુલાસો માંગ્યો છે. નેશનલ કમિશન ફોર બેકવાર્ડ ક્લાસીસ-NCBC કમિશનમાં 5 સભ્યો હોય છે, જ્યારે ગુજરાતમાં માત્ર 1 સભ્યની રચના મામલે હાઇકોર્ટે ખુલાસો માંગ્યો છે.
ગુજરાત હાઇકોર્ટે અવલોકન કર્યું છે કે સરકાર OBC કમિશન પાછળ કેટલો ખર્ચ કરે છે તે મહત્વનું નથી, કમિશન કઈ રીતે કાર્યરત છે તે મહત્વનું છે. આ કમિશન માત્ર ફરિયાદો સ્વીકારવા માટે જ બન્યું નથી, સરકારી વ્યવસ્થામાં હાલ કમિશન શોભાના ગાંઠીયા જેવું બની રહ્યું છે. હાઇકોર્ટે પ્રાથમિક અવલોકન કર્યું છે કે ગુજરાતના OBC કમિશનમાં આર્થિક પછાત વર્ગો બાબતની ચકાસણી, સમાવેશ કે દૂર કરવા અંગેની કામગીરી નથી થઈ રહી. કમિશનની કામગીરી સહિતની બાબતો પર સ્પષ્ટતા કરવા કોર્ટે રાજ્ય સરકારને નિર્દેશ કર્યો છે. ઓબીસી જ્ઞાતિઓનો સમયાંતરે સર્વે નહીં થયો હોવાની બાબતની પણ હાઇકોર્ટે નોંધ લીધી છે.
આ બાબતે રાજ્ય સરકારે કરેલું સોગંદનામાં ઘણી બધી બાબતોની સ્પષ્ટતા નહીં હોવાનું પણ કોર્ટે નોંધ્યું છે. સાથે હાઇકોર્ટે અરજદારને નિર્દેશ કર્યો છે કે બંધારણીય જોગવાઈઓ અને નેશનલ કમિશનની કાર્ય વ્યવસ્થા તેમજ રાજ્યમાં હાલ ચાલતા કમિશન-NCBCના મુદ્દે અરજદાર પણ સંવૈધાનિક જોગવાઈઓ તેમજ હાલની પરિસ્થિતિ અંગે રિપોર્ટ રજૂ કરે.