બાંગ્લાદેશ અને પશ્ચિમ બંગાળના દરિયાકાંઠાના વિસ્તારોમાં રવિવારે મધ્યરાત્રિએ ચક્રવાતી તોફાન ‘રેમલ’નો કહેર જોવા મળી રહ્યો છે. વાવાઝોડાને લઈ એક લાખથી વધુ લોકોને વિવિધ વિસ્તારોમાંથી સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. હવામાન વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે, રેમલની અસર ચાર કલાક સુધી ચાલુ રહેશે. રાત્રે 12 વાગ્યા બાદ તેની અસર દેખાવાની શરૂ થઈ ગઈ હતું.
હવામાન વિભાગના એક અધિકારીએ જણાવ્યું કે, ચક્રવાત બાંગ્લાદેશમાં મોંગલાના દક્ષિણ-પશ્ચિમ ભાગથી થઈને ભારતના પશ્ચિમ બંગાળના દરિયાકાંઠે પસાર થવાનું શરૂ કર્યું. તેમણે કહ્યું હતું કે, તે મધરાત સુધીમાં આસપાસના વિસ્તારોમાં પહોંચી જશે. બપોરે 3 વાગ્યા સુધીમાં પશ્ચિમ બંગાળ સરકારે દરિયાકાંઠા અને આસપાસના વિસ્તારોમાંથી લગભગ 1.10 લાખ લોકોને બહાર કાઢ્યા હતા અને તેમને આશ્રય ગૃહો, શાળાઓ અને કોલેજો જેવા સલામત સ્થળોએ ખસેડ્યા હતા. અધિકારીએ જણાવ્યું હતું કે, દરિયાકાંઠાના વિસ્તારોમાંથી 1.10 લાખ લોકોને સુરક્ષિત આશ્રયસ્થાનોમાં ખસેડવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. આમાં મોટી સંખ્યામાં લોકો દક્ષિણ 24 પરગણા જિલ્લાના છે,
પશ્ચિમ બંગાળના ગવર્નર ડૉ. સી.વી. આનંદ બોઝે કહ્યું કે, તેઓ પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યા છે અને ચક્રવાતનો સામનો કરવા માટે સંકલિત કાર્યવાહી સુનિશ્ચિત કરવા રાજ્ય અને કેન્દ્રીય નિષ્ણાતો સાથે સતત સંપર્કમાં છે. બોસે બંગાળના દરિયાકાંઠાના વિસ્તારોના રહેવાસીઓ માટે સલામતીના મહત્વ પર ભાર મૂક્યો હતો અને ચક્રવાતને પગલે તેમને માનક ઓપરેટિંગ પ્રક્રિયાઓ (એસઓપી) ને અનુસરવા અપીલ કરી હતી.