દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની બગડતી તબિયતને લઈને આજે જંતર-મંતર ખાતે રેલી, કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી (SP) અને તૃણમૂલ કોંગ્રેસ સહિત અન્ય પાર્ટીઓ આ રેલીમાં ભાગ લેશે. INDIA ગઠબંધનમાં સામેલ પક્ષોના નેતાઓ અને તેમના કાર્યકરો આજે એટલે કે મંગળવારે 30 જુલાઈના દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની બગડતી તબિયતને લઈને જંતર-મંતર ખાતે રેલી કરશે.
વિગતો મુજબ કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી (SP) અને તૃણમૂલ કોંગ્રેસ સહિત અન્ય પાર્ટીઓ આ રેલીમાં ભાગ લેશે. આમ આદમી પાર્ટી (AAP)ના રાજ્યસભાના સભ્ય સંજય સિંહે સોમવારે (29 જુલાઈ) કહ્યું હતું કે, તિહાર જેલમાં CM અરવિંદ કેજરીવાલની તબિયત સારી નથી. તેમનું હેલ્થ ચેકઅપ પણ યોગ્ય રીતે થઈ રહ્યું નથી. આ તેમના સ્વાસ્થ્ય સાથે રમત છે.
આ તરફ આમ આદમી પાર્ટી BJP પર CM અરવિંદ કેજરીવાલની જેલમાં ‘હત્યાનું કાવતરું’ ઘડવાનો આરોપ લગાવી રહી છે. તેમના મેડિકલ રિપોર્ટને ટાંકીને આમ આદમી પાર્ટીએ કહ્યું છે કે, 3 જૂનથી 7 જુલાઈની વચ્ચે તેમનું શુગર લેવલ 34 વખત ઘટ્યું હતું. AAP સાંસદ સંજય સિંહે મંગળવારની રેલી અંગેના પ્રશ્નોના જવાબમાં કહ્યું, કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી, તૃણમૂલ કોંગ્રેસ, ડીએમકે, ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી (સીપીઆઈ), ઝારખંડ મુક્તિ મોરચા, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (શરદચંદ્ર પવાર), શિવસેના (ઉદ્ધવ) બાળાસાહેબ ઠાકરે) અને ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટી (માર્કસિસ્ટ-લેનિનિસ્ટ) લિબરેશનના નેતાઓ અને અન્ય પક્ષો આ રેલીમાં ભાગ લેશે.
નોંધનિય છે કે, દિલ્હીના CM અરવિંદ કેજરીવાલને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા 21 માર્ચે કથિત એક્સાઇઝ પોલિસી કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. 10 મેના રોજ સુપ્રીમ કોર્ટે CM અરવિંદ કેજરીવાલને લોકસભા ચૂંટણી પ્રચાર માટે 21 દિવસ માટે વચગાળાના જામીન પર મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો. લોકસભા ચૂંટણી પ્રચાર બાદ દિલ્હીના CM 2 જૂને તિહાર જેલમાં પહોંચ્યા અને આત્મસમર્પણ કર્યું. જે બાદ CBI એ 26 જૂને આ જ કેસમાં CM કેજરીવાલની ધરપકડ કરી હતી. CBIએ 29 જુલાઈ, 2024ના રોજ દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં લિકર પોલિસી કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને અન્યો વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી છે.