સુરતમાં રવિવારે બનેલી પથ્થરમારાની ઘટનાને પગલે વડોદરા શહેરમાં પોલીસ વિભાગ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરાયું હતું. ઉપરાંત મકાનો અને ધાબાઓનું ચેકિંગ કરાયું હતું.સુરતમાં ગણપતિ પંડાલમાં પથ્થરમારાની ઘટના બનતાં શહેરનું પોલીસ તંત્ર એક્ટિવ થયું હતું. ગણેશોત્સવ દરમિયાન કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસે દરેક પોલીસ મથકના હદ વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું. આ સાથે તેઓએ રૂટ પર આવતાં મકાનો અને તેના ધાબાઓ પણ તપાસ્યા હતા.
વડોદરા શહેરના અતિસંવેદનશીલ ગણાતા ચાર દરવાજા વિસ્તારમાં આવતા સિટી, વાડી, કુંભારવાડા, પાણીગેટ અને કારેલીબાગ પોલીસ મથક હદ વિસ્તારમાં પણ પોલીસે ફુટ પેટ્રોલિંગ કર્યું હતું. ફુટ પેટ્રોલિંગ દરમિયાન વિસ્તારમાં આવતી ગલીઓમાં પણ ફુટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન તેઓએ હિસ્ટ્રીશીટરો અને કોમી માનસિકતા ધરવાતા લોકોની પણ તપાસ કરવામાં આવી હતી.