કેન્દ્ર સરકારે બુધવારે જાહેરાત કરી છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે હવે આયુષ્માન ભારત પીએમ જન આરોગ્ય યોજનામાં 70 વર્ષથી વધુ ઉંમરના તમામ લોકોને સામેલ કરવામાં આવશે. મોદી કેબિનેટે આ નિર્ણયને મંજૂરી આપી દીધી છે.લોકસભાની ચૂંટણી પહેલા જાહેર કરવામાં આવેલા બીજેપીના મેનિફેસ્ટોમાં આ વાત કહેવામાં આવી હતી. સરકારના જણાવ્યા અનુસાર, 6 કરોડ વરિષ્ઠ નાગરિકો 5 લાખ રૂપિયા સુધીની મફત સારવાર મેળવી શકશે. દેશના લગભગ 4.5 કરોડ પરિવારો તેમાં સામેલ થશે.
સરકારે કહ્યું કે 70 વર્ષ અને તેથી વધુ વયના તમામ નાગરિકો, તેમની આર્થિક સ્થિતિને ધ્યાનમાં લીધા વિના, આ લાભ મેળવી શકશે. તેમના માટે નવું અલગ કાર્ડ આપવામાં આવશે. આ સાથે તેઓ દર વર્ષે 5 લાખ રૂપિયા સુધીની મફત સારવાર મેળવી શકશે.
રાષ્ટ્રીય સ્વાસ્થ્ય નીતિ હેઠળ કેન્દ્ર સરકારે વર્ષ 2017માં આ યોજના શરૂ કરી હતી. જો કે, પશ્ચિમ બંગાળ સહિત ઘણા રાજ્યો આ યોજના સ્વીકારવાનો ઇનકાર કરી રહ્યા છે અને રાજ્યમાં પોતાની યોજનાઓ ચલાવી રહ્યા છે. આ યોજના હેઠળ દેશભરની પસંદગીની સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં સારવાર કરાવી શકાશે. દાખલ થયાના 10 દિવસ પહેલા અને પછીના ખર્ચની ચૂકવણી કરવાની પણ જોગવાઈ છે. આ યોજનામાં તમામ રોગોને આયુષ્માન યોજનામાં આવરી લેવામાં આવ્યા છે.