દિવાળી પહેલા દિલ્હીમાં વાયુ પ્રદૂષણને નિયંત્રણમાં રાખવા માટે, દિલ્હી પ્રદૂષણ નિયંત્રણ સમિતિએ 1 જાન્યુઆરી, 2025 સુધી ફટાકડા પર પ્રતિબંધ લગાવ્યો છે. સરકારના આદેશ અનુસાર ફટાકડા બનાવવા, સંગ્રહ કરવા, વેચવા અને ફોડવા પર પ્રતિબંધ છે. એટલું જ નહીં, ફટાકડાની ઓનલાઈન ડિલિવરી પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આમાં ગ્રીન ફટાકડાનો પણ સમાવેશ થાય છે.
આ પ્રતિબંધને કડક રીતે લાગુ કરવાની જવાબદારી દિલ્હી પોલીસને સોંપવામાં આવી છે. દિલ્હી પોલીસ દરરોજ તેનો રિપોર્ટ DPCCને આપશે. જોકે, દિલ્હી ભાજપે ફટાકડા પર પ્રતિબંધ પાછળના તર્ક પર સવાલ ઉઠાવ્યા હતા. સાથે જ આમ આદમી પાર્ટીની સરકાર પર કોઈપણ વૈજ્ઞાનિક પુરાવા રજૂ કર્યા વિના તેનો અમલ કરવાનો આરોપ લગાવ્યો હતો.
આ તરફ પંજાબ સરકારે કહ્યું છે કે દિવાળી, ગુરુપૂર્વ, ક્રિસમસ અને નવા વર્ષની ઉજવણી દરમિયાન માત્ર ગ્રીન ફટાકડા ફોડવાની મંજુરી આપવામાં આવશે. ગ્રીન ફટાકડા, જે બેરિયમ ક્ષાર અથવા એન્ટિમની, લિથિયમ, પારો, આર્સેનિક, સીસું અથવા સ્ટ્રોન્ટિયમ ક્રોમેટના સંયોજનોથી મુક્ત છે. ફક્ત તેના ઉપયોગની મંજૂરી છે.