ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય, પૂર્વ કેબિનેટ શિક્ષણ મંત્રી અને ભાજપના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીના પુત્ર મીતના તાજેતરમાં સાસણગીર ખાતે લગ્ન સંપન્ન થયા હતા. સોમવારે મોટી સંખ્યામાં મહેમાનોની હાજરીમા ભાવનગરમાં વાઘાણી પરિવાર દ્વારા આયોજિત સત્કાર સમારોહમાં રાજ્યપાલ, મુખ્યમંત્રી તથા રાજ્ય સરકારના મંત્રીઓ સહિતના વીઆઈપીઓનો મેળાવડો જોવા મળ્યો હતો. ઉપરાંત રાજ્ય સરકારના સચિવો, સરકારના ઉચ્ચ અધિકારીઓ તેમજ ભાજપના દરેક કેડરના નેતાઓ, આગેવાનો અને નાનામાં નાના કાર્યકરો વાઘાણી પરિવારને ત્યાં સત્કાર સમારોહમાં જોવા મળ્યા હતા.
ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી પરિવાર દ્વારા સોમવારે સાંજે ભાવનગરમાં પુત્ર મિતના લગ્ન પ્રસંગે સત્કાર સમારોહ આયોજિત કરાયો હતો, સરકાર સમારોહમાં નવદંપતીને આશીર્વાદ આપવા માટે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપુત સહિતના ઉપસ્થિત રહ્યા હતા. તો રાજ્ય સરકારના સચિવો સહિતના ઉચ્ચ કેડરના અધિકારીઓ, પોલીસ વિભાગના ડીજીપી સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ સત્કાર સમારોહમાં જોવા મળ્યા હતા.
ભાવનગરમાં સોમવાર બપોર બાદ રાજ્યપાલ, મુખ્યમંત્રી તથા અન્ય મંત્રીઓ અને વીવીઆઇપીઓના આગમનના પગલે શહેરના રાજમાર્ગો પર પોલીસ બંદોબસ્ત સાથે સતત સાયારનો ગુંજતી સાંભળવા મળી હતી. વીઆઈપીના આગમનના પગલે શહેરમાં જવેલ્સ સર્કલથી ઇસ્કોન ક્લબનો માર્ગ એક માર્ગીય કરી જાહેરનામું પણ પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું જેથી કરીને ટ્રાફિકની વ્યવસ્થા સુચારુ રીતે જળવાઈ રહે.
આમ, વાઘાણી પરિવારને ત્યાં શુભ પ્રસંગમાં રાજ્યપાલ, સીએમ અને સરકારના અન્ય મંત્રીઓ સહિત ભાજપના દરેક કેડરના નેતાઓ, આગેવાનો અને કાર્યકર્તાઓને પણ યાદ રાખીને નિમંત્રણ આપવામાં આવ્યું હતું.