64 વર્ષ બાદ ગુજરાતમાં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન મળવા જઈ રહ્યું છે. અમદાવાદમાં યોજાઈ રહેલા રાષ્ટ્રીય અધિવેશન અને CWC (કોંગ્રેસ વર્કીંગ કમિટી)ની બેઠકમાં હાજરી આપવા માટે દેશભરમાંથી મોટાભાગના કોંગ્રેસીઓ ગુજરાત આવી પહોંચ્યા છે. હાલ પ્રિયંકા ગાંધી ક્યારે આવશે તે નક્કી નથી. ગુજસેલ વીઆઈપી એરપોર્ટ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. રાહુલ અને સોનિયા ગાંધી એરપોર્ટથી હયાત હોટલ પર અને ત્યાંથી સરદાર સ્મારક ખાતે યોજાનારી CWCની બેઠકમાં હાજરી આપશે.
દેશભરમાંથી ગુજરાતમાં પધારેલા કોંગ્રેસીઓના રોકાણ માટે 35 હોટલમાં રૂમો બુક કરાયા છે. 35 હોટલો પૈકી આશ્રમ રોડની હયાત હોટલમાં 150 રૂમ બુક કરાવ્યા છે. જ્યારે વસ્ત્રાપુરની હયાત હોટલમાં 75 રૂમ બુક છે, ITC નર્મદામાં 105 રૂમ બુક છે. આ ઉપરાંત એસ. જી. હાઈવેની તાજ, વિવાંતા હોટલમાં 100 રૂમો બુક કરાવ્યા છે. સવારે 11:30 વાગ્યે અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં આવેલા સરદાર પટેલ સ્મારક ખાતે CWCની બેઠક યોજાશે. જેમાં અલગ અલગ રાજ્યોના પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ, CWCના સભ્યો, વિધાયક દળના નેતા, CLP નેતા આવશે. સાંજે 6 વાગે ગાંધી આશ્રમમાં પ્રાર્થના સભા મળશે. ત્યારબાદ સાંજે 7 વાગે અમદાવાદ રિવરફ્રન્ટ પર સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે. સાંસ્કૃતિક કાર્યક્રમમાં ગુજરાતની પરંપરાને ઉજાગર કરવામાં આવશે.