અમદાવાદમાં તારીખ 8 અને 9 એપ્રિલના રોજ કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન યોજાયું હતું. જેમાં કોંગ્રેસના અનેક નેતાઓએ સરદાર પટેલને યાદ કર્યા હતા. ત્યારે અધિવેશનના અંતિમ દિવસે સુરતમાં ભાજપનું મજૂરા વિધાનસભા કાર્યકર્તા સંમેલન યોજાયું હતું. જેમાં સી.આર.પાટીલે કોંગ્રેસના અધિવેશનને લઈ આકરા પ્રહારો કરતા કહ્યું- સરદાર પટેલના એક સ્મારક માટે દિલ્હીમાં કોંગ્રેસે જગ્યા ના આપી, કોંગ્રેસનો એક માઇનો લાલ બતાવો જે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં સરદાર પટેલ સાહેબના દર્શન કરવા ગયો હોય. અધિવેશન પહેલા કોંગ્રેસને સરદાર નહોતા યાદ આવ્યા હવે ગુજરાતમાં કોંગ્રેસને ઉભું કરવા સરદારનો સહારો લેવો પડ્યો.
ગુજરાતની ધરતી ઉપર રાજકીય વર્તુળમાં ફરી એક વખત સરદાર પટેલનો સહારો રાજકીય પાર્ટીઓ લેતા દેખાઈ રહી છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનમાં કોંગ્રેસ દ્વારા જે મુદ્દા ઉઠાવવામાં આવ્યા હતા તેમાં સરદાર પટેલને સૌથી વધુ મહત્ત્વ આપવામાં આવ્યું હતું. અધિવેશન દરમિયાન સરદાર પટેલનો ઉલ્લેખ વારંવાર કોંગ્રેસના નેતાઓ દ્વારા કરવામાં આવ્યો હતો. ત્યારે સરદાર પટેલના મુદ્દે જ હવે કોંગ્રેસને ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ ઘેરવા માટે નિવેદનો આપવાના શરૂ કર્યા છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનમાં કોંગ્રેસના નેતાઓએ સરદાર પટેલને યાદ કરતા તેમણે કોંગ્રેસ પાર્ટી અને દેશ માટે આપેલા યોગદાન વિશે નિવેદનો આપ્યા હતા. સરદાર પટેલને ભારતીય જનતા પાર્ટી દ્વારા હાઇજેક કરી લીધા હોવાના આક્ષેપો કોંગ્રેસના નેતાઓ દ્વારા કરવામાં આવ્યા હતા. ભારતીય જનતા પાર્ટી દ્વારા સતત કોંગ્રેસની વિચારધારા અને સરદાર પટેલની વિચારધારા વચ્ચે મતભેદ હોવાની વાતો લોકો વચ્ચે પ્રચાર કરીને ફેલાવી છે. સરદારની વિચારધારા અંગે ભારતીય જનતા પાર્ટીએ પોતાનો રાજકીય હિત સાધવા માટે પ્રચારો કર્યા છે. નેહરુ અને સરદાર વચ્ચે મતભેદ હોવાની વાતો કરીને સરદાર પટેલને હાઇજેક કરી ચૂંટણીઓમાં લાભ લીધા હોવાના ગર્ભિત નિવેદનો કોંગ્રેસ દ્વારા આપવામાં આવ્યા હતા.