હગાઝા ખાતે ચાલી રહેલી સૈન્ય કાર્યવાહીની પરિસ્થિતિ બહુ જ ગંભીર બની ગઈ છે. ઇઝરાયલ સતત ગાઝાના અનેક વિસ્તારોમાં હવાઈ હુમલાઓ કરી રહ્યો છે. ખાસ કરીને ખાન યુનિસ વિસ્તારમાં તાજેતરમાં ભારે હવાઈ હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં 50 થી વધુ પેલેસ્ટિનિયન લોકોના મોત થયા છે. આ લોકોના મૃતદેહો નાસિર હોસ્પિટલના શબઘરમાં લાવવામાં આવ્યા હતા. આ હુમલામાં પત્રકાર હસન સમૂર અને તેમના પરિવારના 11 સભ્યો પણ શહીદ થયા હતા. સતત બીજી રાત્રે પણ તોપમારાની ગંભીર ઘટના નોંધાઈ હતી.
પેલેસ્ટિનિયન તબીબી સૂત્રોના જણાવ્યા અનુસાર, તાજેતરના ઇઝરાયલી હવાઈ હુમલાઓમાં 80 જેટલા લોકોના મોત થયા છે અને અનેક ઘાયલ થયા છે. વધુમાં, ગાઝાની યુરોપિયન હોસ્પિટલ, જે કેન્સરના દર્દીઓને સારવાર પૂરી પાડતી એકમાત્ર હોસ્પિટલ હતી, તે પણ હુમલાના કારણે સંપૂર્ણપણે બંધ થવાની ફરજમાં આવી છે. રસ્તાઓ તૂટી ગયાં છે, આંતરિક વિભાગોને નુકસાન થયું છે અને ગટર લાઇન જેવી જરૂરિયાતની સુવિધાઓ પણ નાશ પામેલી છે.
વિશ્વ આરોગ્ય સંગઠન (WHO) મુજબ, હવે ગાઝામાં કેન્સર, હૃદયરોગ અને ન્યુરોસર્જરી જેવી સારવાર માટે કોઈ પણ યોગ્ય વ્યવસ્થા બાકી રહી નથી. WHOના પ્રમુખના જણાવ્યા અનુસાર હોસ્પિટલ હવે દુર્ગમ બની ગઈ છે અને દરેક પ્રકારની મહત્વપૂર્ણ તબીબી સેવાઓ બંધ થઈ ગઈ છે. 18 માર્ચે ઇઝરાયલે ફરીથી મોટાપાયે લશ્કરી કાર્યવાહી શરૂ કરી હતી, જેના કારણે બે મહિનાનો યુદ્ધવિરામ પણ તૂટ્યો છે. ત્યારથી અત્યાર સુધીમાં 2,876 પેલેસ્ટિનિયન નાગરિકો મૃત્યુ પામ્યા છે અને 7,800 થી વધુ ઘાયલ થયા છે.