ભારતીય મૂળના જાણીતા મહિલા અંતરીક્ષયાત્રી સુનિતા વિલિયમ્સ હવે નાસામાંથી નિવૃત્ત થયા છે. 27 વર્ષની લાંબી અને પ્રેરણાદાયી કારકિર્દી બાદ, ડિસેમ્બર 2025ના અંતમાં તેમણે સત્તાવાર રીતે વિદાય લીધી છે. નાસાના એડમિનિસ્ટ્રેટર જેરેડ આઇઝેકમેને બુધવારે આ અંગેની જાહેરાત કરતા તેમને ‘અંતરીક્ષ વિજ્ઞાનના પથદર્શક’ ગણાવ્યા હતા.
નિવૃત્તિ સમયે ભાવુક થતા સુનિતા વિલિયમ્સે જણાવ્યું કે, ‘નાસામાં મારી 27 વર્ષની કારકિર્દી અદભૂત રહી છે. સ્પેસ સ્ટેશન પર અમે જે વિજ્ઞાન અને પાયો તૈયાર કર્યો છે, તે ભવિષ્યના ચંદ્ર અને મંગળ મિશન માટે રસ્તો સરળ બનાવશે. હવે નાસા ઇતિહાસ રચશે તે જોવા માટે હું આતુર છું.’સુનિતા વિલિયમ્સનું છેલ્લું મિશન ખૂબ જ ચર્ચામાં રહ્યું હતું. જૂન 2024માં તેઓ બોઈંગ સ્ટારલાઈનરના પ્રથમ માનવ પરીક્ષણ માટે અવકાશમાં ગયા હતા. જોકે, ટેકનિકલ ખામીને કારણે આ ટૂંકું મિશન 9 મહિના સુધી ખેંચાયું હતું. આખરે માર્ચ 2025માં તેઓ સ્પેસએક્સ(SpaceX)ના ક્રૂ-9 મિશન દ્વારા સુરક્ષિત રીતે પૃથ્વી પર પાછા ફર્યા હતા.સુનિતા વિલિયમ્સના પિતા દીપક પંડ્યા એક જાણીતા ન્યુરોએનાટોમિસ્ટ હતા. તેમનો જન્મ ગુજરાતના મહેસાણા જિલ્લાના ઝુલાસણ ગામમાં થયો હતો, પરંતુ બાદમાં તેઓ અમેરિકા સ્થાયી થયા હતા. ત્યાં તેમણે સ્લોવેનિયન મૂળના બોની પંડ્યા સાથે લગ્ન કર્યા. સુનિતાનો જન્મ અમેરિકામાં જ થયો હોવાથી તેઓ અમેરિકન નાગરિક છે, પરંતુ તેમનો ભારત અને ખાસ કરીને ગુજરાત સાથેનો નાતો હંમેશા અતૂટ રહ્યો છે.
સુનિતા વિલિયમ્સે હંમેશા ભારત પ્રત્યેનો તેમનો પ્રેમ વ્યક્ત કર્યો છે. પોતાની ભારત મુલાકાતને તેઓ ‘વતન પરત ફરવા’ જેવી ગણાવતા હતા. તેમણે કહ્યું હતું કે, ‘અવકાશમાંથી પૃથ્વીને જોયા પછી માણસો વચ્ચેના ભેદ નાના લાગે છે અને એવું અનુભવાય છે કે આપણે સૌ એક જ છીએ.






