જમ્મુ-કાશ્મીર અને લદ્દાખને જોડતા શ્રીનગર-લેહ નેશનલ હાઈવે પર શુક્રવારે મોટી દુર્ઘટના ઘટી હતી.
જોજિલા પાસ પાસે આવેલા ઝીરો પોઈન્ટ અને મિનીમાર્ગ વચ્ચે શ્રેણીબદ્ધ હિમસ્ખલન થવાને કારણે ભારે
જાનહાનિના સમાચાર સામે આવ્યા છે.શુક્રવારે બપોરના સમયે અચાનક થયેલા હિમસ્ખલનને કારણે
હાઈવે પરથી પસાર થઈ રહેલા આશરે એક ડઝન જેટલા વાહનો બરફના થર નીચે દબાઈ ગયા હતા.
આ કરુણ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 7 લોકોના મોત થયાની પુષ્ટિ થઈ છે, જ્યારે 5 લોકો ગંભીર રીતે
ઘાયલ થયા છે.
દુર્ઘટનાની જાણ થતા જ લદ્દાખના ઉપરાજ્યપાલ વી.કે. સક્સેનાએ કારગિલના ડીસી અને એસએસપીને
તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચવા આદેશ આપ્યા હતા. હાલમાં ડિઝાસ્ટર રિલીફ ફોર્સ અને બીઆરઓ
(BRO) ની ટીમો હાઈ એલર્ટ પર છે અને બરફમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે યુદ્ધના ધોરણે
બચાવ કામગીરી ચાલી રહી છે.કેન્દ્રીય રાજ્ય મંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહે આ ઘટના અંગે ઊંડો શોક વ્યક્ત કર્યો
છે. તેમણે સોશિયલ મીડિયા દ્વારા જણાવ્યું કે જોજિલા પાસ પર થયેલી આ જાનહાનિ અત્યંત દુઃખદ છે
અને સરકાર ઘાયલોને તમામ શક્ય મદદ પૂરી પાડવા માટે કટિબદ્ધ છે.





