ઈસ્લામાબાદમાં અમેરિકા-ઈરાન વાટાઘાટો નિષ્ફળ ગઈ તો અમેરિકન રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે
મંગળવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ફોન કર્યો હતો. બંને નેતાઓ વચ્ચે 40 મિનિટ સુધી વાતચીત થઈ
હતી. આ અંગે ભારતમાં અમેરિકાના રાજદૂત સર્જિયો ગોરે એક ખાનગી ચેનલને જણાવ્યું કે બંને નેતાઓ
વચ્ચે અનેક મુદ્દાઓ પર વાત થઈ છે. આ દરમિયાન શાંતિ વાટાઘાટોમાં ભારતની ભૂમિકા પર પણ ચર્ચા
કરવામાં આવી હતી. તેમણે ખાનગી ચેનલને કહ્યું કે અમેરિકા, મિડલ ઈસ્ટમાં યુદ્ધ ખતમ કરવાના
પ્રયાસોમાં ભારતની ભાગીદારીનું સ્વાગત કરશે. જો કે, તેમણે એમ પણ કહ્યું કે ભારતે પોતે જ નક્કી
કરવું પડશે કે તે શું કરવા માંગે છે.
જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું ભારત શાંતિ પ્રક્રિયામાં કોઈ ભૂમિકા ભજવી શકે છે? તો સર્જિયો ગોરે
કહ્યું, ‘અમેરિકા તેમની ભાગીદારીનું સ્વાગત કરશે, જેવી રીતે તેણે અન્ય ઘણા દેશોની ભાગીદારીનું
સ્વાગત કર્યું છે. સાચું કહું તો, આ ભારતે જ નક્કી કરવાનું છે, મને લાગે છે કે સમગ્ર દુનિયા શાંતિ
પ્રક્રિયામાં ભૂમિકા ભજવી શકે છે અને તેમાં ભારત પણ સામેલ છે.’
ગોરે કહ્યું કે અમેરિકન રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ આ બાબતે કોઈની સાથે ભેદભાવ નથી કરી રહ્યા કે કોણ
આ સંઘર્ષને ખતમ કરવામાં મદદ કરી શકે છે. તેમણે કહ્યું, ‘રાષ્ટ્ર પ્રમુખ એ દરેક વ્યક્તિનું સ્વાગત કરે છે
જે તેમાં સામેલ થવા માંગે છે. રાષ્ટ્ર પ્રમુખ એ દરેક વ્યક્તિનું સ્વાગત કરે છે જે શાંતિ પ્રક્રિયાનો હિસ્સો
બનવા માંગે છે.’સર્જિયો ગોરે આ વાતચીત વોશિંગ્ટનથી પરત ફર્યાના થોડા કલાકો બાદ કરી હતી.
તેમણે જણાવ્યું કે વોશિંગ્ટનમાં તેઓ સમગ્ર કેબિનેટને મળ્યા હતા. આગામી દિવસોમાં કેટલાક સમાચાર
આવી શકે છે પરંતુ આ જાણકારી આપવાનો અત્યારે યોગ્ય સમય નથી. જેનાથી સંકેત મળે છે કે વેપાર
અને દ્વિપક્ષીય મુદ્દાઓને લઈને આગામી દિવસોમાં મોટી જાહેરાતો થઈ શકે છે. તેમણે કહ્યું, ‘આગામી
થોડા દિવસોમાં તમને આ વિશે કેટલાક સમાચાર સાંભળવા મળી શકે છે, પરંતુ આ બાબતે અત્યારે
જાણકારી આપવી મારું કામ નથી.’
તેમણે એ પણ જણાવ્યું કે ટ્રમ્પ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે લગભગ 40 મિનિટ સુધી વાતચીત
થઈ. તેમણે એ વાતની પણ પુષ્ટિ કરી કે ટ્રમ્પની પ્રસ્તાવિત ભારત મુલાકાત પહેલા, આવતા મહિને
અમેરિકન વિદેશ મંત્રી માર્કો રુબિયો ભારતની મુલાકાત લેશે.




