ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા સૌરાષ્ટ્રમાં કોંગ્રેસને મોટો ઝટકો લાગી શકે છે. સૌરાષ્ટ્ર કોંગ્રેસને પક્ષપલટાનો આંચકો લાગી શકે છે. સૌરાષ્ટ્રના કોંગ્રેસના 6 MLA ગમે ત્યારે કેસરિયા કરી શકે છે.
ઘણા સમયથી 6-7 કોંગી ધારાસભ્યો ભાજપ ગમન કરશે તેવી વાતો વહેતી થતાં રાજકારણ ગરમાયું હતું તે આગમાં ઘી રેડવાનું કામ હાલમાં કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા નરેશ રાવલે કર્યું છે. ચૂંટણી પહેલા ફરી કોંગ્રેસમાં મોટું ભંગાણ પડશે તેવા સ્ફોટક નિવેદન આપતા કહ્યું છે કે કોંગ્રેસમાંથી બાંધછોડ સાથે 7 જેટલા ધારાસભ્યો ભાજપમાં આવવા તૈયાર છે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ધારાસભ્યો કોંગ્રેસ છોડવા તૈયાર બેઠા હોવાની હામ ભરી છે.
કોંગ્રેસના ધારાસભ્યો ભાજપના સંપર્ક હોવાના દાવાના મામલે માંગરોળના કોંગ્રેસ ધારાસભ્ય બાબુ વાજાએ જાહેરમાં સ્પષ્ટતા કરી છે. જૂનાગઢમાં કોંગ્રેસના મેનીફેસ્ટો કાર્યક્રમમાં કહ્યું કે 6 ધારાસભ્યો ભાજપના સંપર્કમાં હોવાની વાત સામે આવી હતી, બાદમાં વધુ 3 ધારાસભ્યો ભાજપના સંપર્કમાં હોવાનું કહેવાય છે. વિમલ ચુડાસમા, અમરીશ ડેર અને મારા નામનો ઉલ્લેખ કરાયો છે. પણ હું ચોખવટ કરવા માંગુ છું કે મને હજુ સુધી કોઈ કઈ કહેવા માટે આવ્યુ નથી. મારા નામની ખોટી રીતે અફવાઓ ફેલાવવામાં આવી છે.