તમિલનાડુમાં હાલમાં ભારે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. અભિનેતા વિજયની પાર્ટી ‘તમિલગા
વેટ્રી કઝગમ’ એ સીધી ચેતવણી આપી છે કે જો ડીએમકે અથવા અન્ના દ્રમુક ગઠબંધન કરશે, તો પાર્ટીના
તમામ ૧૦૮ ધારાસભ્યો સામૂહિક રાજીનામાં આપી દેશે. સૌથી વધુ બેઠકો જીતી હોવા છતાં સરકાર
બનાવવાની તક ન મળતા વિજયની પાર્ટીએ ડીએમકે અને એઆઈએ ડીએમકે પર મિલીભગતનો
આરોપ લગાવ્યો છે.
શુક્રવારે તમિલનાડુના રાજ્યપાલ આર.વી. અર્લેકરે વિજયની પાર્ટીને બહુમતી સાબિત કરવાની મંજૂરી
આપવાનો ઇનકાર કરી દીધો હતો. રાજ્યપાલે સ્પષ્ટતા કરી છે કે સરકાર બનાવવા માટે ટીવીકે એ ૧૧૮
ધારાસભ્યોના સમર્થન પત્રો રજૂ કરવા પડશે. હાલની સ્થિતિ મુજબ, ટીવીકે પાસે કોંગ્રેસના ૦૫
ધારાસભ્યોનું સમર્થન છે, જ્યારે પાર્ટી અન્ય વામપંથી અને નાના પક્ષો સાથે ગઠબંધન માટે સતત
વાટાઘાટો કરી રહી છે. પોતાની પાર્ટી સાથે અન્યાય થઈ રહ્યો હોવાનો આક્ષેપ કરીને, વિજય હવે આ
મામલે કાયદાકીય લડત લડવા અને અદાલતના દ્વાર ખખડાવવા માટે સંપૂર્ણ તૈયારી કરી રહ્યા છે.
રાજ્યમાં સર્જાયેલી અસ્થિરતા વચ્ચે ડીએમકેએ એક તાકીદની બેઠક યોજી હતી, જેમાં પક્ષના વડા એમ.કે.
સ્ટાલિનને કટોકટીના સમયે તમામ નિર્ણયો લેવાની સંપૂર્ણ સત્તા સોંપવામાં આવી છે. રાજકીય સૂત્રો
મુજબ, તમિલનાડુમાં એક નવી અને અણધારી વ્યવસ્થા પર વિચાર ચાલી રહ્યો છે. આ રણનીતિ હેઠળ
ડીએમકે બહારથી ટેકો આપે અને એઆઈએ ડીએમકેના નેતા ઈ. પલાનીસ્વામી મુખ્યમંત્રી બને તેવી
શક્યતા છે. જોકે, આ પ્રકારના અકુદરતી ગઠબંધન સામે જનતાનો ભારે રોષ જોવા મળી શકે છે, તેવી
ભીતિને કારણે બંને પક્ષના વરિષ્ઠ નેતાઓ મૂંઝવણમાં છે.
રાજ્યપાલના આ વલણ સામે વિપક્ષોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સીપીઆઈ એ રાજ્યપાલને
બંધારણ મુજબ કામ કરવા અને સૌથી મોટી પાર્ટીને બહુમતી સાબિત કરવાની તક આપવા અપીલ કરી
છે. આ ઉપરાંત, વીસીકેના થોલ તિરુમાવલવન અને અભિનેતા કમલ હાસને પણ વિજયની પાર્ટીને
પોતાનું સમર્થન જાહેર કર્યું છે. રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જાળવવી હવે તંત્ર માટે મહત્ત્વનું બની
ગયું છે.
