ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામને ત્રણ સપ્તાહનો સમય વીત્યો છે ત્યારે હજુય નગરપાલિકા અને મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપ હજુ મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની પસંદગી કરી શક્યું નથી. નવા પદાધિકારીઓની પસંદગીને લઈને ભાજપમાં મથામણ જામી છે. એટલું જ નહીં, મેયર સહિતના પદાધિકારીઓના નામની સત્તાવાર જાહેરાત માટે હજુ બે-ચાર દિવસની રાહ જોવી પડે તેમ છે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપે જોરદાર દેખાવ કર્યો છે. હવે કઇ નગરપાલિકા અને મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાના સિંહાસને કોને બેસાડવા તે અંગે ગાંધીનગરમાં મુખ્યમંત્રી નિવાસસ્થાને માથાપચ્ચી જામી હતી. જોકે, પીએમ મોદીની ગુજરાત મુલાકાતને પગલે બધું પડતું મુકવું પડ્યું હતું.
સુરત, અમદાવાદ સહિત અન્ય શહેરોમાં પદાધિકારીઓની પસંદગીને લઈને સર્વસંમતિ સધાઈ નથી. સૌરાષ્ટ્રમાં રુપાલા તો સુરતમાં પાટીલ જૂથ સક્રિય બન્યું છે. મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન બનાવવા માટે ભાજપના જૂથો વચ્ચે ભારે આંતરિક ખેંચતાણ જામી છે પરિણામે સત્તાવાર જાહેરાત પાછળ ધકેલાઈ રહી છે. દરમિયાન, ભાજપના પ્રવક્તાએ દાવો કર્યો છે કે, પાલિકા અને મહાનગરપાલિકામાં પદાધિકારીઓની પસંદગીનું હોમવર્ક પૂરું થયું છે. એવું પણ જાણવા મળ્યું છે કે, અમદાવાદની બે દિવસીય મુલાકાતે આવેલાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે આ મામલે ચર્ચા થયા બાદ પદાધિકારીઓની યાદીને આખરી ઓપ અપાયો છે.
આ જોતાં હવે 22મી પછી ગમે તે ઘડી પાલિકા અને મહાનગરપાલિકામાં મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની સત્તાવાર જાહેરાત થઈ શકે છે. ટૂંક જ સમયમાં પાલિકા-મહાનગરપાલિકામાં નવા પદાધિકારીઓ મળી જાય તેમ લાગી રહ્યું છે.




