કેન્દ્ર સરકાર દ્વારા પેટ્રોલિયમ ઉત્પાદનોના નિકાસ પર લેવાતા ટેક્સમાં મહત્ત્વનો ફેરફાર કરવામાં આવ્યો છે. સરકાર દ્વારા ડીઝલ અને એવિએશન ટર્બાઇન ફ્યુઅલ ( વિમાનમાં વપરાતું ઇંધણ) પર લાગતી એક્સપોર્ટ ડ્યુટીમાં વધારો કરવામાં આવ્યો છે. આ નવીનતમ ફેરફાર આજથી જ અમલી બની ગયો છે.
સરકારના નવા નિર્ણય અનુસાર, હવેથી ડીઝલની નિકાસ પર પ્રતિ લિટર 14 રૂપિયા સ્પેશિયલ એડિશનલ એક્સાઇઝ ડ્યુટી વસૂલવામાં આવશે. આ સાથે જ, વિમાન ઇંધણ એટલે કે એટીએફની નિકાસ પર પ્રતિ લિટર 12.5 રૂપિયા વેરો ચૂકવવી પડશે. જો કે, પેટ્રોલની નિકાસ પરના ટેક્સમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવામાં આવ્યો નથી. પેટ્રોલનો એક્સપોર્ટ રેટ પહેલાની જેમ જ પ્રતિ લિટર 1.5 રૂપિયા યથાવત રાખવામાં આવ્યો છે.
આંતરરાષ્ટ્રીય બજારની સ્થિતિને ધ્યાનમાં રાખીને સરકારે સૌથી પહેલા 27 માર્ચ, 2026ના રોજ આ નિકાસ શુલ્ક લાગુ કર્યું હતું. વાસ્તવમાં, પશ્ચિમ એશિયામાં ચાલી રહેલી કટોકટીના કારણે વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલ અને પેટ્રોલિયમ ઉત્પાદનોની માંગ તેમજ કિંમતોમાં ભારે ઉછાળો આવ્યો હતો. આવી સ્થિતિમાં રિફાઇનરી કંપનીઓ માટે સ્થાનિક બજારમાં ઇંધણ વેચવા કરતાં વિદેશમાં નિકાસ કરવું વધુ નફાકારક સાબિત થઈ રહ્યું હતું. આથી, રિફાઇનરી કંપનીઓ નફાની લાલચમાં માત્ર નિકાસને જ પ્રાથમિકતા ન આપે અને દેશની અંદર પેટ્રોલ, ડીઝલ કે એટીએફની અછત ઊભી ન થાય તે હેતુથી સરકારે આ પ્રતિબંધાત્મક પગલું ભર્યું છે.
પેટ્રોલિયમ ઉત્પાદનો પર લાગતા આ ટેક્સ રેટ્સ કાયમી હોતા નથી, પરંતુ દર 15 દિવસે તેની કડક સમીક્ષા કરવામાં આવે છે. આ વખતે જાહેર કરાયેલા નવા રેટ્સ પણ છેલ્લા પખવાડિયા દરમિયાન આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલ અને પેટ્રોલિયમ પ્રોડક્ટ્સના સરેરાશ ભાવોને આધારે નક્કી કરવામાં આવ્યા છે. આ પૂર્વે છેલ્લે 1 જૂન, 2026ના રોજ આ રેટ્સમાં ફેરફાર કરવામાં આવ્યો હતો.
આ નિર્ણયથી સામાન્ય નાગરિકોએ ચિંતા કરવાની કોઈ જરૂર નથી, કારણ કે આ ફેરફાર માત્ર વિદેશમાં મોકલવામાં આવતા (નિકાસ થતા) ઇંધણ પર જ લાગુ પડે છે. દેશના ઘરેલું બજારમાં વેચાતા પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઇઝ ડ્યુટીમાં કોઈ જ ફેરફાર કરવામાં આવ્યો નથી. આનો અર્થ એ થાય કે તમારા શહેરના પેટ્રોલ પંપ પર મળતા ઇંધણના ભાવો પર આ નિર્ણયની કોઈ જ અસર નહીં થાય અને કિંમતો સ્થિર રહેશે.






