આગામી પવિત્ર મહોરમ અને ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રાના તહેવારો સમગ્ર શહેરમાં શાંતિપૂર્ણ અને કોમી એકતાના માહોલમાં ઉજવાય તે માટે ભાવનગર પોલીસ તંત્ર અત્યારથી જ એક્શન મોડમાં આવી ગયું છે. ભાવનગર રેન્જ આઈજી રાજેન્દ્ર અસારી તથા જિલ્લા પોલીસ અધિક્ષક ડો. નિતેષ પાંડેયના માર્ગદર્શન હેઠળ સુરક્ષા વ્યવસ્થાને લઈને સઘન તૈયારીઓ આરંભી દેવાઈ છે.તહેવારો દરમિયાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ચુસ્તપણે જળવાઈ રહે તેવા આશયથી નાયબ પોલીસ અધિક્ષક આર.આર. સિંધાલની અધ્યક્ષતામાં ગંગાજળિયા પોલીસ મથક હેઠળના તમામ સંવેદનશીલ વિસ્તારોમાં ‘એરિયા ડોમિનેશન’ અને ભવ્ય ‘ફૂટ પેટ્રોલિંગ’ યોજવામાં આવ્યું હતું. આ ખાસ સુરક્ષા કવાયતમાં ગંગાજળિયા, ઘોઘારોડ અને નિલમબાગ પોલીસ મથકના પીઆઈ, વિવિધ સ્ટેશનના પીએસઆઈ, સર્વેલન્સ સ્ટાફ સહિત મોટી સંખ્યામાં પોલીસ જવાનો સજ્જ હથિયારો સાથે જોડાયા હતા. શાંતિ સમિતિની બેઠકો અને પેટ્રોલિંગ દ્વારા સ્થાનિકોને સુરક્ષાનો અહેસાસ કરાવી ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.



